પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 ગુજરાતીઓના મૃતદેહો સાંજે વતન લવાશે
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મંગળવારે સુરતના યુવકનું અને બુધવારે (આજે) ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારીમાં મોત નીપજ્યું હતું. ત્યારે સરકાર દ્વારા આજે જ ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે. ત્યારબાદ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે. આતંકવાદી હુમલામાં મૃત્યું પામેલા મૃતકોના પાર્થિવ દેહને મુંબઇ લાવવમાં આવશે. ત્યારબાદ જે-તે રાજ્યમાં મોકલવામાં આવશે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર ભાવનગરના મૃતક પિતા પુત્રની સાથે ભાવનગરના 17 પર્યટકોને ભાવનગર પરત લાવવા માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા જમ્મુ કશ્મીર અને ગુજરાત સરકાર સાથે સંકલન કરી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર બન્ને મૃતદેહ તથા પર્યટકોને બપોરે 4 કલાકે મુંબઈ અને ત્યાંથી હવાઈ માર્ગે ભાવનગર લાવવા તંત્ર અને રાજ્ય સરકારે કવાયત શરૂ કરી છે.
ભાવનગરમાં મૃતકના ઘરની બહાર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારના લોકો અને સ્વજનો શોકાતુર જોવા મળ્યા. ભાવનગર કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલએ જણાવ્યું હતું કે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહને સાંજે 4 કલાકે મુંબઇ એરઓર્ટ પર લાવવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી ભાવનગર પહોંચતાં સાંજના 7:00 વાગી જશે.
આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન
મૃતદેહોને પરત લાવવાના પ્રયાસોને ઝડપી બનાવવા તાકીદ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પહલગામ આતંકવાદી હુમલાને લઇને કહ્યું હતું કે ઇજાગ્રસ્ત પ્રવાસીને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓને અને મૃતદેહોને પરત લાવવાના પ્રયાસોને ઝડપી બનાવવા તાકીદ કરી છે. પહેલગામ આતંકવાદી હુમલાની અંગે તેમણે કહ્યું હતું કે 'કાશ્મીર પ્રવાસે ગયેલા પ્રવાસીઓને ટાર્ગેટ કરીને ધર્મના આધારે કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે.
શ્રીનગર કંટ્રોલ રૂમ દ્વારા મદદ માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયા
0194-2483651
0194-2457543
7780805144
7780938397
7006058623
પહલગામ હુમલાના વિરોધમાં આજે કાશ્મીરમાં પૂર્ણ બંધનું એલાન
PDP ચીફ મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, 'ચેમ્બર એન્ડ બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (23 એપ્રિલ) સંપૂર્ણપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. હું તમામ કાશ્મીરીઓને અપીલ કરું છું કે તેઓ પહલગામમાં થયેલા ક્રૂર હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં આ બંધનું સમર્થન કરે. આ માત્ર નક્કી કરાયેલા લોકો પર હુમલો નથી. આ આપણા સૌ પર હુમલો છે. અમે દુઃખ અને આક્રોશમાં એક સાથે છીએ અને નિર્દોષ લોકોના નરસંહારની નિંદા કરવા માટે બંધનું પુરજોશમાં સમર્થન કરે છે.'