અમદાવાદના સાબરમતીમાં અંગત અદાવતમાં પાર્સલ બ્લાસ્ટ, બે ઈજાગ્રસ્ત, 1ની ધરપકડ
IED દ્વારા બ્લાસ્ટ કરાયાની આશંકા
નો ઉ
Ahmedabad Blast News | અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઈના કાકાનો દીકરો અને પાર્સલ લઈને આવનાર ઘાયલ થતાં લોહી લુહાણ થયા હતા. પાર્સલ લાવનારનો હાથ ફાટી ગયો છે. જેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરાયાની પોલીસને આશંકા છે.
પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
મને રૂપેન પર શંકા છે-બળદેવભાઈ સુખડીયા
મળતી માહિતી અનુસાર રૂપેન બારોટે આ પાર્સલ ગૌરવ ગઢવી થકી બળદેવભાઈ સુખડીયાને મોકલ્યું હતું. પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઈ સુખડીયા હાઇકોર્ટમાં કારકૂન તરીકે નોકરી કરે છે. આ ઘટના પાછળ જવાબદાર લોકોમાં જેનું નામ ખુલ્યું છે અને જેણે પાર્સલ મોકલ્યું હતું તે રૂપેન બારોટના છૂટાછેડા થયા હતા, તેની પત્ની બળદેવભાઈને ભાઈ માને છે. બળદેવભાઈ હાઇકોર્ટમાં નોકરી કરે છે તેથી રૂપેનને શંકા હતી કે બળદેવભાઈના કારણે તેમના છૂટાછેડા થયા છે, જેની અદાવત રાખીને બદલો લેવા રૂપેને આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. બળદેવભાઈ સુખડીયાએ કહ્યું હતું કે હું 12 વર્ષથી રૂપેનને ઓળખું છું. એ પાસામાં જાય એટલે હું એને છોડાવતો હતો, અનેકવાર તેને છોડાવ્યો છે, પણ પછી છેલ્લે કામ ન થયું એટલે આવું કર્યું હશે.
બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગની આશંકા
પોલીસને આશંકા છે કે બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગ કરાયો હતો. જેમાં કથિત રીતે જ્વલનશીલ પદાર્થો જેવા કે સ્પિરિટ, બેટરી અને ગન પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ની ટીમે બ્લાસ્ટમાં કયા મટિરિયલનો ઉપયોગ કરાયો છે તે જાણવા માટે ઘટના સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે.
રિમોટથી બ્લાસ્ટ કરાયાની શક્યતા
પોલીસના જણાવ્યા અનુસાર આંતરીક મતભેદને કારણે પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને બ્લાસ્ટ કરવા માટે રિમોટનો ઉપયોગ કરાયાની પણ પોલીસને આશંકા છે. અગાઉ ભોગ બનનાર બળદેવભાઈને ધમકી મળી હતી. આરોપીઓ ડી કેબિન-ગોદાવરી વિસ્તારના હોવાની બાતમી મળી છે. અન્ય આરોપીના નામ પોલીસને મળી ગયા છે જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
અંગત કારણોસર કરાયો બ્લાસ્ટ
સેક્ટર-1ના JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, “આ વિસ્ફોટ પારિવારિક વિવાદને લગતા અંગત કારણોસર કરાયો હોવાનું જણાય છે. અમે પાર્સલ પહોંચાડનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે અને કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓને શોધી રહ્યા છે. ”સમગ્ર મામલે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે. બીજા સાથીદારનું ઠેકાણું શોધવા અને હુમલામાં વપરાયેલ IED વિશે વધુ વિગતો મેળવવા માટે પોલીસ ગઢવીની પૂછપરછ કરી રહી છે.