ભાજપના જ ધારાસભ્યોએ જ સરકારી સિસ્ટમ સામે અવાજ ઊઠાવ્યો, લેટર બોમ્બથી સરકાર ચિંતિત

Updated: May 17th, 2024


Google NewsGoogle News
ભાજપના જ ધારાસભ્યોએ જ સરકારી સિસ્ટમ સામે અવાજ ઊઠાવ્યો, લેટર બોમ્બથી સરકાર ચિંતિત 1 - image


Lok Sabha Elections 2024: એક તરફ, ઈફકોની ચૂંટણી (IFFCO elections) બાદ સહકારી સંસ્થાઓના ભાજપના નેતા (BJP leaders)-આગેવાનોએ ભાજપ સામે અસહકાર આંદોલનના મારફતે મોરચો માંડ્યો છે જયારે બીજી તરફ, ચૂંટણી પૂરી થતાં ભાજપના જ ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો છે. ભાજપના જ ધારાસભ્યોનું અધિકારીઓ સાંભળતાં નથી તો આમ જમનતાનું તો કોણ સાંભળતુ હશે? સાથે સાથે ભાજપના જ ધારાસભ્ય ભાજપના શાસનમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે. આમ, એક પછી એક ભાજપના ધારાસભ્યો (BJP MLAs)ના લેટર બોમ્બના કારણે પ્રદેશ નેતાગીરી-સરકાર ચિતિત બની છે.

ભાજપના ધારાસભ્યોએ અધિકારીરાજ સામે વિરોધના સૂર છેડ્યાં

લોકસભાની ચૂંટણી પુરી થતાં જ ભાજપના ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ અને અધિકારીરાજ સામે વિરોધના સૂર છેડ્યાં છે. જેમકે, ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani)એ પત્ર લખી સુરત કલેક્ટર કચેરીમાં આવક-જાતિના દાખલાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યોકે, ધો.12ના પરિણામ બાદ દાખલા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગી છે ત્યારે એજન્ટો મનફાવે તેમ નાણાં પડાવી રહ્યા છે. આમ, સરકારી કચેરીઓમાં એજન્ટોએ અડિંગા જમાવ્યા છે એ વાત ભાજપના જ ધારાસભ્યએ પુરવાર કરી છે.

અધિકારીઓ તો પોતાને બધાની ઉપર સમજે છે : સંજય કોરડિયા

આ તરફ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા (Sanjay Kordia)એ મુખ્યમંત્રીને પત્ર લખીને નરસિંહ મહેતા તળાવની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે તેવો આક્ષેપ કર્યો છે. સાથે સાથે તળાવના બ્યુટિફિકેશનને લઈને સવાલો ઉભા કર્યા છે. આ ઉપરાંત સંજય કોરડિયાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાકટરની બેદરકારીને લઈને પણ આક્ષેપ કર્યા છે. એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છેકે, અધિકારીઓ તો પોતાને બધાની ઉપર સમજે છે. મહુધાના ધારાસભ્ય સંજય મહિડા (Sanjay Mahida)એ પણ પત્ર લખીને તાલુકા વિકાસ અધિકારી મનસ્વીપણે ખરીદી કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં વોટરકુલર-આરઓ પ્લાન્ટ હલકી ગુણવત્તાના ફાળવાયા છે.

આમ જનતાનું કોણ સાંભળે?

ભાજપના ધારાસભ્યોનું જ અધિકારીઓ નથી સાંભળતાં ત્યાં આમ જનતાનું કોણ સાંભળે? આમ, ગુજરાતમાં અધિકારીરાજથી ભાજપના ધારાસભ્યોએ નારાજ છે એટલે જ પત્રવોર જામ્યો છે. ભાજપના જ ધારાસભ્યો ભાજપના રાજમાં થતાં ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે. આ પરિસ્થિતી સર્જાતાં સરકારની ચિંતા વધી છે.

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર


Google NewsGoogle News