અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બન્યા બેફામ, જુહાપુરામાં છરી અને લાકડી વડે છુટ્ટા હાથની મારામારી
Anti Social elements nuisance in Ahmedabad: રાજ્યમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના ત્રાસને ઓછો કરવા અને કાબૂમાં કરવા માટે ગુજરાતની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમ છતાં પોલીસ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડી છે. અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્ત્વોએ ફરી એકવાર હિંસક રીતે ઉત્પાત મચાવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. વીડિયો કેટલાક અસામાજિક તત્વો લાકડી અને છરી સાથે જોવા મળે છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.
અસામાજિક તત્ત્વોએ જુહાપુરા વિસ્તારને બાનમાં લેતાં સ્થાનિક રહીશો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. કોઇ અંગત અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં આ મામલે વેજલપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક
અમદાવાદની રખિયાલની એક સોસાયટીમાં 14 એપ્રિલ, સોમવારની રાતે અસામાજિક તત્ત્વોએ ફરી એકવાર હિંસક રીતે ઉત્પાત મચાવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં અજિત મિલ ચાર રસ્તા પાસે આવેલી રહેણાક મકાનમાં 7થી 8 લોકોનું ટોળું તલવાર, લાકડી, ધોકા અને પાઇપો સહિતના ઘાતકી હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને રીતસરનો ઉત્પાત મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર ઘટનાના આરોપી અને ફરિયાદી વચ્ચે ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. એક સામાજિક પ્રસંગમાં બોલાચાલી થતાં આરોપી તલવાર તથા છરા જેવા ધારદાર હથિયારો સાથે સલમાનના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા બાદ છ પુખ્ત વયના તથા એક સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.