Get The App

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું, સંખ્યાબળ તૂટી 15 થયું

આ પહેલા પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું, સંખ્યાબળ તૂટી 15 થયું 1 - image


gujarat politics : ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ આજે રાજીનામું આપી દીધું છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબંળ તુટીને 15 થઈ ગયું છે. આ પહેલા પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું. હવે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ ગમે તે સમયે ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ આપ્યું હતું. આ રાજીનામાં બાદ કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 15 થઈ ગયું છે તેમજ હજુ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો પડે તેવી સંભાવના છે.

ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા 

સીજે ચાવડા ગુજરાત સરકારમાં પશુપાલન વિભાગના અધિકારી રહી ચૂક્યા છે. તેમણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સલાહથી સરકારી નોકરી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી ભાજપના નેતા વાડીભાઇ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ 2017માં ગાંધીનગર ઉત્તર અને 2022માં વિજાપુર બેઠક પરથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું, સંખ્યાબળ તૂટી 15 થયું 2 - image


Google NewsGoogle News