એક લાખથી વધુ પ્રેક્ષકો ઉમટી પડશે , ભારત-પાકિસ્તાન મેચ માટે એ.એમ.ટી.એસ.-બી. આર.ટી.એસ. બસ ફળવાઈ
સવારના ૮થી રાત્રિના ૧કલાક સુધી મ્યુનિ.બસ સેવા લોકોને મળી રહેશે
અમદાવાદ,ગુરુવાર,12 ઓકટોબર,2023
શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને
પાકિસ્તાનની ટીમ વચ્ચે વિશ્વકપની મેચ રમાશે.આ મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો ઉમટી
પડવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.મ્યુનિ.તંત્ર તરફથી આ મેચ માટે એ.એમ.ટી.એસ.તથા
બી.આર.ટી.એસ.ની એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે.સવારના ૮થી રાત્રિના ૧ કલાક સુધી
બંને મ્યુનિ.બસ સેવા લોકોને મળી રહેશે.મેચ પુરી થયા બાદ શહેરમાં કોઈપણ સ્થળે
પહોંચવા માટે રુપિયા ૨૦ ભાડુ નકકી કરવામાં આવ્યુ છે.
૧૪ ઓકટોબરે બંને દેશો વચ્ચે વિશ્વકપની મેચને ધ્યાનમાં રાખી
એ.એમ.ટી.એસ.ની ચાંદખેડા રુટ ઉપરાંત ૫૦ એકસ્ટ્રા બસો દોડાવાશે.પૂર્વ અને પશ્ચિમ એમ
બંનેના કુલ મળીને પાંચ સ્થળોએ એ.એમ.ટી.એસ.ની પચાસ બસ મુકવામાં આવશે.આ પ્રમાણે
બી.આર.ટી.એસ.ની પણ રુટ ઉપરાંત ૨૨ જેટલી એકસ્ટ્રા બસ મુકવામાં આવશે.અમદાવાદ જનમાર્ગ
દ્વારા હયાતરુટની ૪૫ બસ ઉપરાંત ૨૨ એકસ્ટ્રા બસ સાથે કુલ ૬૭ બસ નરેન્દ્ર મોદી
સ્ટેડિયમ સુધી લોકોને મુકવા અને પરત લાવવા માટે રાત્રિના ૧ કલાક સુધી
દોડાવાશે.એ.એમ.ટી.એસ.ની રુટની ૬૯ ઉપરાંત નાઈટની પચાસ બસ મળી કુલ ૧૧૯ બસ વિશ્વકપની
મેચ માટે દોડાવવામાં આવશે.
શનિવારે સ્ટેડિયમ ખાતે અમદાવાદ ફાયરનો સ્ટાફ તૈનાત રહેશે
૧૪ ઓકટોબરે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને
પાકિસ્તાન વચ્ચે રમાનારી વિશ્વકપની મેચ હાઈવોલ્ટેજ ડ્રામા બનવાની સંભાવનાને લઈ
અમદાવાદ ફાયર વિભાગ સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં મીની ફાયર ફાયર, વોટર ટેન્કર સાથે
અધિકારી તથા ફાયર જવાનો સ્ટાફ તૈનાત રખાશે.સ્ટેડિયમની બહાર પાર્કીંગ માટે પણ વોટર
ટેન્કર સાથે ફાયરમેનોને ફરજ ઉપર મુકાશે.