અમદાવાદનો સ્થાપના દિવસ: જ્યાં શહેરની પહેલી ઈંટ મૂકાઈ હતી તે માણેક બુરજ ખાતે પૂજા વિધિ સાથે ઉજવાઈ બર્થડે
Manek Burj History: આજે અમદાવાદનો 614 જન્મદિવસ છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુરજ પાસે ઇંટ મુકીને અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. આજના દિવસે માણેક બુરજના વંશજો દ્વારા માણેકનાથ મંદિર પર ધજા ચડાવી આરતી કરવામાં આવે છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. AMC દ્વારા માણેકચોક ખાતે પુષ્પ અર્પણ અને માણેક બુરજ એટલે કે એલિસબ્રિજ ખાતે ધજા પૂજા અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ મેયર પ્રતિભા જૈન, ભાજપના કોર્પોરેટરો, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, પૂર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટ અને ડે.મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા.
6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે કાંકરિયા-લક્કડિયો પુલ અમદાવાદની ઓળખ ગણાતા અને આજે હવે રિવરફ્રન્ટ-અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ આજે મોલ કલ્ચરમાં તબદીલ થયું છે.
અમદાવાદનો પાયો કોણે નાખ્યો હતો?
અમદાવાદ શહેરની સ્થાપના અંગે કેટલીક માન્યતાઓ ખૂબ જ પ્રચલિત છે. એવું કહેવાય છે કે 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહેમદ શાહ તેમના શિકારી કૂતરા સાથે અહીં આવ્યા ત્યારે અહીંના સસલાએ તેમના કૂતરાને ભગાડી દીધા હતા. ત્યાર પછી અહેમદ શાહને અહીં નવી રાજધાની સ્થાપવાનો વિચાર આવ્યો. તેમણે ધાર્મિક ગુરુ શેખ અહેમદ ખટ્ટુને અહીં શહેર સ્થાપવા માટે મંજૂરી માગી. ત્યારે તેમણે કહ્યું તમને ક્યારેય બપોરની નમાઝ ચૂક્યા ના હોય તેવા ચાર અહેમદ મળે તો તમે આ શહેરની સ્થાપના કરી શકશો. ત્યાર પછી અહેમદ શાહે ગુજરાતમાં તપાસ કરાવતા બે અહેમદ મળ્યા, ત્રીજા શેખ અહેમદ ખટ્ટુ અને ચોથા પોતે એમ ચાર અહેમદ અને 12 બાબાએ મળીને અમદાવાદની સ્થાપના કરી હોવાની માન્યતા છે.
માણેક બુરજનો ઇતિહાસ
અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા માણેક બુરજના ઇતિહાસ પાછળ એક દંતકથા જોડાયેલી છે. અમદાવાદના ઇતિહાસમાં માણેકનાથ બાબાનું વિશેષ મહત્વ છે. આજે ખાણીપીણી માટે ફેમસ માણેકચોકનું નામ પણ ખાસ કારણથી પાડવામાં આવ્યું છે.
બાબા માણેકનાથ પોતાના ચમત્કારને કારણે જાણીતા હતા. લોકો તેમને ગોદડિયા બાવા’ તરીક પણ ઓળખતાં હતા. અહેમદશાહ બાદશાહે શહેરમાં કોટ બનાવની કામગરી શરૂ કરી હતી. બાદશાહની શાન ઠેકાણે લાવવા માટે બાબા માણેકનાથ દરરોજ આખો દિવસ એક ગોદડી બનાવે અને તેમાં દોરા ભરે, ત્યારબાદ રાત પડે એટલે તે ગોદડીના દોરા કાઢી નાખે એટલે બાદશાહે ચણેલી દિવાલો પડી જાય.
આવું લાંબો સમય સુધી ચાલ્યું. કંટાળીને બાદશાહે ચમત્કારી માણેકનાથ બાબાને શોધી કાઢ્યા અને તેમને પૂછ્યું કે તમે આવું કેમ કરી રહ્યા છે અને બીજા તમે શું-શું ચમત્કાર કરી શકો છો? માણેકનાથ બાબા કે કહ્યું કે હું નાળચાવાળા લોટાના મોંઢેથી અંદર પ્રવેશ કરું અને નાળચામાંથી બહાર નીકળી શકું છું. આ ચમત્કાર બતાવવા માટે તેઓ જેવા લોટામાં દાખલ થયા તો બાદશાહે કોઢાને મોંઢે તથા નાળચે બંધ કરી દીધો. ત્યારબાદ માણેકનાથ બાબાએ કહ્યું ‘મને તું નીકળવા દે અને હું તારો કોટ નહીં પાડી નાંખું, પણ મારું નામ રહે એવું કરજે’. બાદશાહે તેમને વચન આપ્યું અને તે પ્રમાણે બાદશાહે કોટ ચણવાની શરૂઆત કરી અને ગણેશબારી પાસે એલિસબ્રિજના છેડે બુર્જનું નામ ‘માણેક બુર્જ ‘ પાડ્યું.