વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ 3 અસામાજિક તત્ત્વો ઝડપાયા, ચારના મકાન પર બુલડોઝર ફરશે
Ahmedabad Vastral Crime: હોળીના દિવસે વસ્ત્રાલમાં 25થી વઘુ શખસોએ હાથમા ખુલ્લી તલવારો, છરી અને પાઇપ જેવા હથિયારો સાથે આખા વિસ્તારને બાનમાં લઇને રાહદારીઓને ઉભા રાખીને તલવાર અને છરી ઘા મારીને તેમના વાહનોની તોડફોડ કરી હતી. આ તમામ અસામાજિક તત્ત્વો આ રીતે પોતાની ધાક જમાવવા માટે આતંક મચાવતા હતાં. આ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે અને ચાર જેટલાં આરોપીના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફેરવશે.
સાત આરોપીના ગેરકાયદે મકાનો તોડી પાડ્યા
વસ્ત્રાલમાં આતંક મચાવાના લુખ્ખાઓના વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતા પોલીસે આરોપીઓને જાહેરમાં સરભરા કરીને કાયદાનું ભાન કરાવ્યું હતુ. બાદમાં સાત આરોપીના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ અંગે વધુ ત્રણ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. આ સિવાય ફરાર મુખ્ય આરોપીને પકડવા માટે ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. આ સિવાય પોલીસે AMC તમામ આરોપીના ઘરની વિગતનો રિપોર્ટ આપ્યો છે. જ્યારે અન્ય ચાર જેટલા આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવશે.
શું હતો મામલો?
અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્ત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.