ગણેશ વિસર્જનને કારણે શહેરના અનેક રસ્તાઓ પર વાહન વ્યહાર માટે પ્રતિબંધ
રિવર ફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો પણ બંધ રહેશે
દિલ્હી દરવાજા, સારંગપુર , ગીતા મંદિર અને જમાલપુર સહિતના રસ્તાઓ પર ગણેશ વિસર્જનના સરઘસ પસાર થશે
અમદાવાદ,સોમવાર
મંગળવારે શહેરમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમોના અનુસંધાનમાં રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ તેમજ કાલુપુર, ગીતામંદિર, સારંગપુર, દિલ્હી દરવાજા અને જમાલપુર પાસેના રસ્તા બપોરે એક વાગ્યાથી બંધ રહેશે. જેથી વાહન વ્યવહાર અન્ય વૈકલ્પિક રૂટ પર કરવા માટે સુચના આપવામાં આવી છેે. બીજી તરફ મોટા પ્રમાણમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંગળવારે ગણપતિ વિસર્જનના અનુસંધાનમાં બપોરે એક વાગ્યાથી કેટલાંક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહેશે અને તે રસ્તાને બદલે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. જેમાં એસ ટી ગીતા મંદિર થી જમાલપુર બ્રીજ થી સરદારબ્રીજ પાલડી ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. જ્યારે આ માટે વાહનચાલકોએ જમાલપુર બ્રીજથી બહેરામપુરા દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ આંબેડકર બ્રીજથી અંજલી ચાર રસ્તાથી પાલડી જઇ શકાશે. આ ઉપરાંત, એસ ટી (ગીતામંદિર) થી રાયપુર ચાર રસ્તાથી કાલુપુર ઇન ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે. જેના વિકલ્પમાં એસટીથી ભુલાભાઇ ચાર રસ્તા થી કાંકરિાય ચોકીથી અનુપમ સિનેમાથી સરસપુર બ્રીજને ક્રોસ કરીને રેલવે સ્ટેશન અને નરોડા તરફ જઇ શકાશે. કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સર્કલથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજાથી એલિસબ્રીજ ટાઉન હોલ સુધીનો રસ્તો બંધ રહેશે. જેથી કાલુપુરથી આવતા વાહનચાલકોને કાલુપુર સર્કલથી આંબેડકર હોલ થઇ માણેકલાલ મિલના રસ્તાથી ઝઘડિયા બ્રીજ થઇને અપ્સરા સિનેમા ચાર રસ્તાથી અંજલી ચાર રસ્તા સુધી જઇ શકાશે. તેમજ કામદાર મેદાન ચાર રસ્તાથી સારંગપુર ઓવરબ્રીજ થઇને સારંગપુર સર્કલ સુધીનો રસ્તો બંધ રહેતા વાહનચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનોે ઉપયોગ કરવાનો રહેશે. આ સાથે રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો પણ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.