અમદાવાદના ખોખરામાં આવેલા શરણમ-5માં લાગી આગ, ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે
Ahmedabad Fire: અમદાવાદના ખોખરામાં અઠવાડિયામાં બીજીવાર આગની ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ-5 એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા જીન્સના કાપડની દુકાન આગ લાગી હોવાની માહિતી મળી છે. જોકે, હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગી હોવાની જાણ થતાં 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ-5માં જીન્સ બનાવવાના શેડમાં આગની ઘટના સામે આવી છે. શરણ-5માં ચોથા માળે સી-401 નંબરમાં જીન્સ બનાવવાનું કારખાનું આવેલું છે. જેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ચોથા માળે ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડો થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તુરંત જ ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. નોંધનીય છે કે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી.
આગની ઘટનાને 2 કલાક જેટલો સમય વિતી ચૂક્યો હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકાયો નથી. અત્યાર સુધીમાં 15 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. 2 લાખ લીટર જેટલો પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે છતાં આગ બેકાબૂ છે. જીન્સના કાપડનો મોટા પ્રમાણમાં સ્ટોક હોવાથી આગ ભીષણ બની છે. શરણમ-5માં ધાબા ઉપર ગેરકાયદે શેડ બનાવવામાં આવ્યાનું પણ સામે આવ્યું છે. જેને લઇને તંત્ર સામે સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચોઃ હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું, પત્નીનું મોત
ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાના જણાવ્યા અનુસાર, અમને માહિતી મળતા તુરંત જ આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આગ આસપાસના કોમર્શિયલ વિસ્તારમાં ફેલાતી અટકાવવા માટે તુરંત ફાયરની ટીમ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. ફાયર કર્મચારીઓએ સમયસર બિલ્ડિંગ ખાલી કરાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. જોકે, આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આગ લાગવાનું કારણ અકબંધ
જોતજોતામાં આગે વિશાળ સ્વરૂપ લઈ લેતા એપાર્ટમેન્ટ તેમજ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલ, ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસની ટીમ તેમજ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જેથી કોઈ આપતકાલીન સ્થિતિમાં તુરંત મદદ મળી રહે. નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં ખોખરાના પરિષ્કર એપાર્ટમેન્ટમાં આગ, લોકોએ કૂદકા મારીને જીવ બચાવ્યા
સાત દિવસમાં એક જ વિસ્તારમાં બીજો આગનો બનાવ
ઉલ્લેખનીય છે કે, ગત 11 એપ્રિલે પણ ખોખરા વિસ્તારમાં પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની 7 ગાડી અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં ફાયર વિભાગની ટીમ દ્વારા 18 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ નોંધાઈ નહતી.