બાબાસાહેબની મૂર્તિને ખંડિત કરનાર આરોપીઓનો 'વરઘોડો' કાઢ્યો, કાન પકડી માફી મંગાવી, ફરાર ત્રણ આરોપી ઝડપાયા
Dr. Ambedkar statue Vandalised in Ahmedabad: અમદાવાદના ખોખરામાં કે. કા. શાસ્ત્રી કૉલેજ સામે જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો વિવાદ વકર્યો હતો. બાદમાં આ મામલે ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી ખોખરા પોલીસને સોંપ્યા હતા. ખોખરા પોલીસે આ આરોપીઓનું સરઘસ કાઢ્યું અને જાહેરમાં માફી મંગાવી હતી. હાલ, પોલીસે અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી લીધા છે.
આરોપીઓએ માંગી માફી
ખોખરા પોલીસ બંને આરોપીઓને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. બાદમાં આ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને બંને આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી. ડૉ. આંબેડકરનું નાક તોડનાર આરોપીઓએ કાન પકડીને જાહેરમાં લોકોની માફી માંગી હતી. પોલીસે આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં, જ્યાં કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ મામલે વધુ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે બુધવારે (25 ડિસેમ્બર) બીજા ત્રણ આરોપી ચેતન ઠાકોર, જયેશ ઠાકોર અને મુકેશ ઠાકોરને પણ ઝડપી લીધા છે.
નવી મૂર્તિનું કરાયું અનાવરણ
નોંધનીય છે કે, સમગ્ર વિવાદ બાદ સ્થાનિક દલિત આગેવાનોએ બાબાસાહેબની ખંડિત મૂર્તિ દૂર કરી ત્યાં નવી મૂર્તિનું અનાવરણ કર્યું છે. આ સાથે જ ત્રણ દિવસથી ચાલી રહેલા આંદોલનનો પણ અંત આવ્યો છે. આ સાથે દલિત આગેવાનોએ પોઇન્ટ પર સીસીટીવી કેમેરા મૂકવાની માંગ કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદ શહેરના ખોખાર વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આંબેડકર સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે.
વહેલી સવારે જ્યારે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધ્યાને પડ્યું હતું. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી અપમાન કરવામાં આવતાં સ્થાનિક લોકોની લાગણીને ઠેસ પહોંચી છે અને લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવાના મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્થાનિકોએ રોડ પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સતત ત્રણ દિવસથી આંબેડકરના અપમાન મુદ્દે દલિત આગેવાનો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.