Get The App

અમદાવાદના ગુનેગારોને દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવાશે, વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ ટ્રેડિશનલ પોલીસિંગના માર્ગે

Updated: Mar 24th, 2025


Google News
Google News
અમદાવાદના ગુનેગારોને દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવાશે, વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ ટ્રેડિશનલ પોલીસિંગના માર્ગે 1 - image


Ahmedabad Crime Branch: અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડવાની સાથે પાસા, તડીપાર જેવા આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે 10થી 12 વર્ષ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને તબક્કાવાર બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવતી હતી, તે હવે ફરીથી શરૂ કરાશે. 

પોલીસની ટ્રેડિશનલ પોલીસિંગ સિસ્ટમ

ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ અધિકારીઓ તે આરોપીઓને સારી રીતે ઓળખી શકતા હતા. પરિણામે ગુનેગારોને કાબૂમાં રાખવામાં સફળતા મળતી હતી. જેથી આ ટ્રેડિશનલ પોલીસિંગ સિસ્ટમને પરત લાવીને હવે દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં આરોપીઓને બોલાવવાની શરૂઆત કરવામાં આવી છે. જે અનુસંધાનમાં 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં બનેલી વસ્ત્રાલની ઘટનાને પગલે પોલીસ દ્વારા માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમા પહેલીવાર આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહીના ભાગરૂપે આરોપીઓની ગેરકાયદે મિલકતો તોડવાની કામગીરી કરવામાં આવી હતી. સાથે સાથે પાસા અને તડીપારની કાર્યવાહી હેઠળ અનેક અસામાજિક તત્ત્વોને જેલમાં ધકેલવામાં આવી રહ્યાં છે. ત્યારે પોલીસ કમિશનર જી. એસ. મલિકે 23મી માર્ચે ક્રાઈમ બ્રાન્ચની વિઝિટ લીધી હતી. જ્યાં અમદાવાદમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 353 જેટલા આરોપીઓને બોલાવીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાયદાનું પાલન કરવા માટે સૂચના આપી હતી અને ગુનાની પ્રવૃતિથી દૂર રહેવા માટે તાકીદ કરી હતી. જે પૈકી 300 આરોપીઓ પાસાની સજા કાપી ચૂક્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં વેફર-નમકીન બનાવતી કંપનીમાં લાગી આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, અફરા-તફરી સર્જાઇ

આ અગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું કે, 'અગાઉ 10 થી 12 વર્ષ પહેલા તે ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે દર રવિવારે નિયમ હતો કે વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને અલગ અલગ ગ્રૂપમાં બોલાવીને તેમની કાયદાની મર્યાદામાં રહેવાની સુચના આપવામાં આવતી હતી. આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવવામાં આવતા કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ અધિકારીઓ તેને ઓળખી શકતા હતા. પરિણામે કોઈ ગુનાઈત પ્રવૃતિ સમયે આરોપીઓ સુધી આસાનીથી પહોંચી શકાતુ હતું. જો કે આ પદ્ધતિ બંધ થઇ ગઈ હતી. પરંતુ, હવે ટ્રેડિશનલ પોલીસિંગને ફરીથી શરૂ કરવામાં આવશે. જે અનુસંધાનમાં આ રવિવાર (23મી માર્ચ)થી ક્રાઈમ બ્રાન્ચમાં આરોપીઓને બોલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.'

અમદાવાદ પોલીસે 1481 ગુનેગારોની યાદી તૈયાર 

ડીજીપી વિકાસ સહાયે વસ્ત્રાલની ઘટનાને ગંભીરતાથી લઈને સમગ્ર ગુજરાત પોલીસને તેમના શહેર અને જિલ્લાના આરોપીઓની યાદી તૈયાર કરવાની સૂચના આપી હતી. ત્યારે અમદાવાદ પોલીસે 1481 આરોપીઓની યાદી તૈયાર કરી હતી. જેમાં બુટલેગર, જુગાર, વાહનચોરી, મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ સહિતના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના ગુનેગારોને દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવાશે, વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ ટ્રેડિશનલ પોલીસિંગના માર્ગે 2 - image

Tags :