વેપારી પાસેથી માલ ખરીદીને નાણાં ચુકવી સમાધાનના નામે કરોડોની ઠગાઇ
ટેક્ષટાઇલ માર્કેટમાં કરોડો ની છેતરપિંડી કરવાની નવી મોડ્સ ઓપરેન્ડી
ટેક્ષટાઇલ એસોશીએશની આડમાં ભોગ બનનારને વેપારીેને મળીને ખરીદી કરનારને ખોટ થઇ હોવાનું કહી બાકી નાણાંના માત્ર ૨૦ થી ૨૫ ટકા નાણાં અપાવીને થતી છેતરપિંડી
અમદાવાદ,રવિવાર
અમદાવાદમાં ટેક્ષટાઇલ માર્કેટમાં અનેક વેપારીઓ સાથે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધવામાં આવે છે. જો કે કેટલાંક કિસ્સામાં ં છેતરપિંડીની ફરિયાદ પોલીસ સુધી પહોંચે તે પહેલા તે ફરિયાદી વેપારીને વિશ્વાસમાં સમાધાન કરાવવાનું કહીને તેની સાથે કરોડો રૂપિયાન ઠગાઇ કરવામાં આવતી હોવાની ચોકાવનારી માહિતી સામે આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ટેક્ષટાઇલ એસોશીએશનની એક સંસ્થા ચલાવતા વ્યક્તિ અને કેટલાંક વેપારીઓની મિલીભગતથી સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવતુ હોવાની વિગતો જાણવા મળી છે. આ મામલે કેટલાંક વેપારીઓએ પોલીસ કમિશનર અને ડીજીપીને રજૂઆત કરીને સમગ્ર મામલે તપાસ કરવાની માંગણી કરી છે. જેમાં મોટું કૌભાંડ સામે આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પ્રતિદિન કરોડો રૂપિયાના કાપડનો વેપાર ટેક્ષટાઇલ ક્ષેત્રે કરવામાં આવે છે. જેમાં કેટલાંક વેપારીઓ પાસેથી કાપડ ખરીદીને નાણાં નહી ચુકવીને છેતરપિંડી કરવાની ફરિયાદના કિસ્સા પણ સામે આવે છે.જો કે વેપારીઓ સાથે છેતરપિંડી કરીને તેમને જ સમાધાન કરીને ન્યાય અપાવવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હોવાની વિગતો જાણવા મળી છે. આ સમગ્ર કૌભાંડમાં ટેક્ષટાઇલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા એક એસોશીએશનના મુખ્ય વ્યક્તિ અને તેની સાથે મિલીભગત ધરાવતા વેપારીઓ માર્કેટમાં આવતા નવા વેપારીને ટારગેટ કરતા હતા. જેમાં નવા વેપારી પાસેથી પહેલા બેથી ત્રણ વાર પાંચ થી દશ લાખ રૂપિયાના કાપડની ખરીદી કરીને સમયસર નાણાં ચુકવી આપવામાં આવતા હતા.
ત્યારબાદ વેપારી સાથે વિશ્વાસ કેળવીને તે વેપારી પાસેથી ૪૫ દિવસ સુધી ક્રેડિટ લઇને બે થી ત્રણ કરોડ રૂપિયાનું કાપડ લઇને ક્રેડિટના દિવસો પૂર્ણ થયા બાદ પણ નાણાં ચુકવવામાં આવતા નહોતા. પરંતુ, વેપારી પોલીસ ફરિયાદ કરવા જાય તે પહેલા કહેવાતા એસોશીએશન સાથે સંકળાયેલા વ્યક્તિ ભોગ બનનાર વેપારીને પોલીસમાં ફરિયાદ બાદ થતા ગેરફાયદા ગણાવવાની સાથે તેને એવો વિશ્વાસ અપાવતો કે કાપડની ખરીદી કરનાર વેપારી નાદાર છે. જેથી પોલીસ ફરિયાદ થશે તો પણ નાણાં મળી શકે તેવી શક્યતા નથી. પરંતુ, એસોશીએશન પોતાની જવાબદારીથી વાંટાઘાટ કરશે. ત્યારબાદ છેતરપિંડીની કુલ રકમના ૨૦ થી ૨૫ ટકા રકમ જ મળી શકશે તેમ કહીને માલ વેચનાર વેપારીને સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. બાદમાં એસોશીએશન સાથે સંકળાયેલો વ્યક્તિ તેની સાથે મિલીભગત ધરાવતા વેપારીએ ખરીદેલો કાપડનો જથ્થો બારોબારે વેચાણ કરાવીને તેમાંથી ૫૦ ટકા જેટલો હિસ્સો રાખે છે. આમ, આ મોડસ્ ઓપરેન્ડીથી અનેક વેપારીઓને છેતરવામાં આવ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એસોશીએશન સાથે મિલીભગત ધરાવતા વેપારીઓ પૈકી મોટાભાગના વેપારીઓ ગુજરાત બહારના છે.
જો કે ભોગ બનનાર વેપારીઓને તેમની સાથે થયેલી છેતરપિંડીનો
ખ્યાલ આવતા આ અંગે પોલીસ કમિશનર કચેરી અને
ડીજીપી ઓફિસમાં રજૂઆત કરીને સમગ્ર મામલે
તપાસ કરવા માટે માંગણી કરી છે. જેમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરી
છે.