સિંધુભવન રોડ પર વ્યંડળો વચ્ચે ઉઘરાણીને લઇને મારામારીથી દોડધામ
Ahmadabad Crime : અમદાવાદ શહેરમાં વ્યંડળો વચ્ચે ચાલી રહેલી હદને લઇને મોટાપાયે તકરાર ચાલે છે. ત્યારે સિંધુ ભવન રોડ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ પર ગત રાત્રીએ લગ્ન પ્રસંગમાં દક્ષીણાના નામે નાણાં પડાવવા પહોંચેલા વ્યંડળો સાથે અન્ય જુથના વ્યંડળોએ વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી. જેમાં એક કિન્નરને હાથમાં છરીનો ઘા લાગતા હોસ્પિટલ લઇ જવાયો હતો. આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાપુરથી બોપલ રીંગ રોડ પર ચોક્કસ ગુ્રપના વ્યંડળો દ્વારા નાણાં ઉઘરાવવામાં આવતા હોવાથી છેલ્લાં ગ્રુપ વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલે છે
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે વટવા બીબી તળાવ પાસે આવેલા ગોલ્ડન વિલા બંગ્લોઝમાં રહેતા હિના દે કામીની દે નામનો કિન્નર તેની સાથેના સેજલમાસી, ઇશીતામાસી, ફીઝા માસી તથા જીયા માસીને લઇને સિંધુ ભવન રોડ પર આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ પર યજમાન વૃતિ માટે ગયા હતા. ત્યારે પાર્ટી પ્લોટની બહાર અમન શેખ અને સઇદ ડાન્સર નામના કિન્નર આવ્યા હતા અને તેમણે હિના દેને કહ્યું હતું કે તમે અહીંયા કેમ આવ્યા છો? આ અમારો વિસ્તાર છે. બાદમાં અમને મારામારી કરીને તેની પાસે રહેલી છરી કાઢીને ફીઝા દેને મારતા બરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સમયે પોલીસને જાણ કરતા બંને જણા ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. હિના દેએ દાવો કર્યો હતો કે વસ્ત્રાપુરથી સિંધુ ભવન રોડ સુધીનો વિસ્તાર તેમનો છે. અને તે આરોપીઓ હદના મામલે અવારનવાર હુમલા કરે છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.