અમદાવાદ મ્યુનિ.સંચાલિત એલ.જી.,શારદાબેન હોસ્પિટલમાં ૯ માસમાં હૃદયરોગની સારવાર લેતાં ૧૫૬ દર્દીનાં મોત
એલ.જી.હોસ્પિટલ ખાતે સારવાર લેતા ૧૦૬,શારદાબેન હોસ્પિટલમાં ૫૦ દર્દીનાં મોત
અમદાવાદ,શનિવાર,21 ઓકટોબર,2023
સમગ્ર ગુજરાતના વિવિધ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક
સમયથી અલગ અલગ કારણસર હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ પામનારાની સંખ્યામાં વધારો જોવા
મળી રહયો છે.આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.તથા શારદાબેન
હોસ્પિટલમાં આ વર્ષે નવ માસમાં હૃદયરોગની ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહેલા કુલ
૧૫૬ દર્દીનાં મોત થયા છે.એલ.જી.હોસ્પિટલમાં ૧૦૬ જયારે શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર
લેતા ૫૦ દર્દીના મોત થવા પામ્યા છે.
રાજયમાં છેલ્લા કેટલાક સમયથી ક્રીકેટ મેચ રમતા સમયે અથવા તો
ગરબાની પ્રેકટિસ કરતા કે ગરબા રમતી વખતે યુવાનોના હૃદયરોગનો હુમલો થતા મોત થવાના
બનાવ બનવા પામ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલ તથા
શારદાબેન હોસ્પિટલ ખાતે આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધીના સમયમાં
હૃદયરોગની સારવાર આપવા માટે બંને હોસ્પિટલમાં કુલ મળીને ૪૩૭૭ જેટલા પેશન્ટને
ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.આ પૈકી કુલ ૧૫૬ દર્દીનાં
મોત થવા પામ્યા છે.