સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર મુસાફરો ભરેલી બસ ખાડામાં ખાબકી, 20થી વધુને ઈજા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News

Bus Accident : રાજ્યમાં સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે. ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે ઉપર સજાર્યો છે. જેમાં 30 મુસાફરો ભરીને જઈ રહેલી સરકારી બસ ખાડામાં ખાબકતાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. અકસ્માતની જાણ થતાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પર સરકારી બસ અકસ્માતનો ભોગ બની હતી. જેમાં બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી નીચે ઉતરી જઈ ખાડામાં ખાબકી હતી. જેના લીધે 20થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી, જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તથા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. 

આ ઘટનામાં ઈજા પામેલા 20થી વધુ મુસાફરોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. જેથી પોલીસે બે કલાકની ભારે મહેનત બાદ ટ્રાફિકને દૂર કરી રાબેતા મુજબ શરુ કરાવ્યો હતો. 


Google NewsGoogle News