ગુજરાતમાં 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો, નાણામંત્રી કનુ દેસાઈની મહત્ત્વની જાહેરાત

આ ઉપરાંત નાણામંત્રીએ માર્ગ અને મકાન અને ખેતી, ખેડૂત કલ્યાણ વિભાગ માટે પણ જાહેરાત કરી

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો, નાણામંત્રી કનુ દેસાઈની મહત્ત્વની જાહેરાત 1 - image


Important announcement in Gujarat Budget : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સતત ત્રીજી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ બજેટમાં 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ સાત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત અનેક યોજનાની જાહેરાત કરી છે.

માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ

આ વખતે બજેટમાં શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડ અને બંદરો તથા વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ કરાઈ છે. તેની સાથે જળસંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત નાણામંત્રીએ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જાહેરાત કરી હતી. બીજી બાજુ શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ

નાણામંત્રીએ વિધાનસભામાં બજેટમાં આ વખતે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ કરાઈ છે. 

નમો સરસ્વતી યોજનાની જાહેરાત

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન ટેક્નોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ  25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે  400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

ગુજરાતમાં 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો, નાણામંત્રી કનુ દેસાઈની મહત્ત્વની જાહેરાત 2 - image


Google NewsGoogle News