ગુજરાતમાં 'સાઈલન્ટ કિલર' હિપેટાઈટિસ-બીને કારણે 5 વર્ષમાં 474 લોકોના મોતથી ખળભળાટ
Hepatitis-B in Gujarat: ગુજરાતમાં હિપેટાઇટિસ ‘બી’ના કેસ અને તેનાથી થતાં મૃત્યુમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 474 વ્યક્તિના હિપેટાઇટિસ ‘બી’ના કારણે મૃત્યુ થયા છે. આ પૈકી એપ્રિલથી ડિસેમ્બર 2024 એમ 9 મહિનામાં જ 95 વ્યક્તિએ હિપેટાઇટિસ ‘બી’ ને કારણે જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વ્યક્તિના હિપેટાઇટિસ ‘બી’થી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને છે.
હિપેટાઇટિસ-બીથી મૃત્યુમાં પાંચ વર્ષમાં છ ગણો વધારો
ગુજરાતમાં હિપેટાઇટિસ ‘બી’થી 2019-20માં 21 વ્યક્તિના મૃત્યુ થયા હતા. જેની સરખામણીએ 2023-24માં મૃત્યુનું પ્રમાણ વધીને 132 થઈ ગયું હતું. આમ હિપેટાઇટિસ ‘બી’થી થતાં મૃત્યુમાં 5 વર્ષમાં 6 ગણો વધારો થયો છે. સમગ્ર દેશમાં પણ હિપેટાઇટિસ ‘બી’ થી થતાં મૃત્યનું પ્રમાણ વધવા લાગ્યું છે. 2019-20માં 173, 2020-21માં 139, 2021-22માં 323, 2022-23માં 515, 2023-24માં 972 જ્યારે 2024-25માં એપ્રિલથી ડિસેમ્બર સુધી 607 વ્યક્તિના હિપેટાઇટિસ ‘બી’ થી મૃત્યુ થયા હતા.
જાણકારોના મતે, આપણા દેશમાં હિપેટાઇટિસ બી, સી, ડી, એનું આટલું પ્રચલિત થવાનું કારણ એ છે કે લોકોમાં તેના વિશે કોઈ જાગૃતિ નથી. હિપેટાઇટિસ ‘બી’ સંક્રમિત વ્યક્તિ સાથેના જાતિય સંબંધ, માતા-પિતામાં હોય તો નવજાત બાળકને, રક્ત ચઢાવતી વખતે યોગ્ય પરિક્ષણ કરાવાયું ના હોય તો તેનાથી થઈ શકે છે. હિપેટાઇટિસ ‘બી’થી લિવરના કેન્સર થવાનું જોખમ પણ રહે છે. આ ઉપરાંત તે વકરી જાય તો લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી.
હિપેટાઇટિસ ‘બી’ સાયલન્ટ કિલર છે એમ જણાવતાં ડૉ. કૃણાલ પટેલે ઉમેર્યું કે, 'મોટાભાગના કિસ્સામાં હિપેટાઇટિસ ‘બી’ના લક્ષણો પ્રારંભિક તબક્કામાં જોવા મળતા નથી. લક્ષણો સામે આવવાનું થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય તેવું પણ બને છે. જે પણ વ્યક્તિના પરિવારમાં હિપેટાઇટિસ ‘બી’ હોય તેના પ્રત્યેક સદસ્યે હિપેટાઇટિસ ‘બી’ અંગેનો ખાસ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જે વ્યક્તિ રક્ત સાથે સંકળાયેલી હોય જેમકે સર્જન-બ્લડ બેંકમાં કામ કરનારાઓએ આ વેક્સિન લેવી ખાસ હિતાવહ છે. પ્રત્યેક વ્યક્તિ હેલ્થ ચેક અપ કરાવે ત્યારે તેણે હિપેટાઇટિસ ‘બી’ અંગેનો ટેસ્ટ પણ કરાવી લેવો જોઈએ.'