ગુજરાતમાં મેઘ'કહેર', ક્યાંક પૂર તો ક્યાંક નદીઓ છલકાઈ, 28નાં મોત, PM મોદી થયા એક્ટિવ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં મેઘ'કહેર', ક્યાંક પૂર તો ક્યાંક નદીઓ છલકાઈ, 28નાં મોત, PM મોદી થયા એક્ટિવ 1 - image


28 people died in Last Four Days in Gujarat Rain : સતત વરસી રહેલાં અનરાધાન વરસાદે ગુજરાતને પાણીમાં તરબોળ કરી દીધું છે. એટલુ જ નહીં, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જી દીધો છે. અતિથી અતિ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે ઝીરો કેઝ્‌યુલિટીના એપ્રોચ સાથે સમગ્ર રાજ્યનુ વહીવટી તંત્ર સજ્જ છે છતાંય વરસાદે માત્ર ચાર જ દિવસમાં 28 જણાંનો ભોગ લીધો છે. વડોદરામાં પૂર જેવી હાલત છે તો દ્વારકામાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાએ નદીઓ છલકાવાથી વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. રોડ-રસ્તા પણ બેટમાં ફેરવાઈ ગયા છે. 

નદીઓ ગાંડીતૂર બની, ઓવરફ્લો થવા લાગી 

ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમો, તળાવો ઉપરાંત નદીઓ પણ ઓવરફ્‌લો થઇ છે. રાજ્ય સરકારના આદેશને પગલે આ સ્થળોએ લોકોને ન જવા સૂચના અપાઇ છે. નદીકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લાં ચાર દિવસમાં પાણીમાં ડુબી જવાથી 13 જણાએ જાન ગુમાવી છે. જયારે મકાન અને દિવાલ પડવાથી 13 લોકોનુ મોત નિપજ્યુ છે. આ ઉપરાંત ઝાડ પડતાં બે લોકોના મૃત્યુ થયા છે. હળવદ,બોરસદ, તારાપુર,દાહોદ, લીમખેડા, ધ્રાંગધ્રા, આહવા, હાલોલ, ધોળકા અને મણિનગરમાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ બની છે જ્યારે  મહુધા, લુણાવાડા, સાણંદ, ખંભાતમાં મકાન અને દિવાલ પડતાં મૃત્યુ થયા હોવાની ઘટના બનવા પામી છે. ભાણવડ અને પેટલાદમાં ઝાડ પડવાથી બે લોકોના મૃત્યુ થયા હતા.

વડાપ્રધાન મોદીએ સીએમ ભુપેન્દ્ર જોડે વાત કરી 

બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જોડે વાત કરીને ગુજરાતની સ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ કેન્દ્ર દ્વારા પહોંચાડાયેલી સહાય વિશે પણ જાણકારી મેળવી હતી. આ સાથે જનજીવનને સામાન્ય કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. 

અનેક માર્ગો અને હાઇવે બંધ 

અત્યાર સુધી 5 નેશનલ હાઈવે, 2 એનએચએઆઈ, 66 સ્ટેટ હાઈવે, 92 અન્ય રોડ, 774 પંચાયત એમ કુલ મિલાવીને 939 રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. 

40000થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા 

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી કુલ 41000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ વડોદરામાં 10000, નવસારીમાં 9500, સુરતમાં 3800, ખેડામાં 2700, આણંદમાં 2300, પોરબંદરમાં 2041, જામનગરમાં 1955 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. 

બંગાળની ખાડીમાં ફરી લૉ પ્રેશર ઝોન સર્જાયું 

હવામાન વિભાગની આજની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ફરી એકવાર લૉ પ્રેશર ઝોન સર્જાયું હોવાથી દિલ્હી, બિહાર, યુપી, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડ સહિત મોટાભાગના રાજ્યોમાં આજે અને આવનારા અમુક દિવસોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.



Google NewsGoogle News