જામનગરના ધાર્મિક સ્થળોના દ્વારે રાતવાસો કરનારા 13 ભિક્ષુકોને ઠંડીને લઈને પાલિકા દ્વારા રેન બસેરામાં ખસેડાયા
Jamnagar : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ આઇસીડીએસ શાખા દ્વારા શહેરના જુદા જુદા ધાર્મિક સ્થળોના દ્વારે ઠંડીમાં સૂઈ રહેલા નાગરિકોને રક્ષણ આપવાના ભાગરૂપે સેલ્ટર હોમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 13 જેટલા ભિક્ષુકોને હાપા સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા.
ગઈકાલે રાત્રે ભીડભંજન મહાદેવ મંદિરના દ્વારે તેમજ દાંડિયા હનુમાનના મંદિરના દ્વારે, ઉપરાંત બાલા હનુમાન મંદિર નજીક રાત્રિના સમયે ઠંડીમાં બહાર સૂઈ રહેલા ઘર વિહોણા નાગરિકોને સમજાવટ કરીને સીટી બસમાં બેસાડ્યા હતા અને તમામને હાપાના રેન બસેરામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ લોકો માટે ચા, પાણી, નાસ્તો, ભોજન રહેવા ઓઢવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી તથા અન્ય અધિકારીઓની ટીમ દ્વારા એસ્ટેટ શાખા તથા આઇસીડીએસ શાખાની ટુકડી મારફતે શહેરમાં હજુ પણ આવા જુદા-જુદા ધાર્મિક સ્થળો સહિતની જગ્યાએ જો કોઈ નાગરિકો- ભિક્ષુકો ઠંડીમાં બહાર સૂઈ રહેલા હશે, તો તેઓને રેન બસેરામાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે.