વિશ્વામિત્રીને કારણે વડોદરામાં પૂરથી 2019 કરતાં પણ ખરાબ સ્થિતિ, મોંઘીદાટ ગાડીઓ ડૂબી, રસ્તા પર મગર દેખાયા

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
વિશ્વામિત્રીને કારણે વડોદરામાં પૂરથી 2019 કરતાં પણ ખરાબ સ્થિતિ, મોંઘીદાટ ગાડીઓ ડૂબી, રસ્તા પર મગર દેખાયા 1 - image


Heavy Rain Vadodara : રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં રાજ્યભરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. ત્યારે વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

વડોદરા શહેરમાં વર્ષ 2019માં આવેલા 19 ઇંચ જેટલા ભારે વરસાદ અને પૂરમાં જેટલી ખરાબ સ્થિતિ સર્જાઈ હતી તેના કરતાં પણ વધારે ભયાનક સ્થિતિનું નિર્માણ આ વર્ષે માત્ર 12 ઇંચ વરસાદમાં થયું છે.

શાળા-કોલેજો બંધ 

વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે શાળાઓ તથા એમ એસ યુનિવર્સિટીમાં વધુ એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં જળપ્રલય! 28 જિલ્લામાં રેડ ઍલર્ટ, તો 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ, ડેમ છલકાયા

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં વડોદરા શહેરમાં અતિભારે 19 ઇંચ વરસાદ ખાબક્યો હતો, ભારે વરસાદના કારણે તેમજ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા પાણીના કારણે વડોદરા શહેરમાં તબાહી મચાવી દેનારું પૂર આવ્યું હતું. ભારે વરસાદના કારણે અને વિશ્વામિત્રી નદીના પૂરના કારણે શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતાં જે બે- ત્રણ દિવસ સુધી ઉતર્યા ન હતાં. શહેરીજનોને પોતાના ઘરના સામાન સહિતની વસ્તુઓનું કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

હજી આ વિનાશક પૂરને માંડ પાંચ વર્ષ જ થયા છે અને આ વર્ષે ફરી ભારે વરસાદ અને પૂરે શહેરને ધમરોળ્યું છે. મહત્ત્વની વાત એ છે કે વર્ષ 2019માં આવેલાં 19 ઇંચ વરસાદમાં વિશ્વામિત્રી નદીના પૂરમાં જેટલાં પાણી નદી કાંઠા વિસ્તારમાં તેમજ સોસાયટી ઘૂસ્યા ન હતા તેના કરતાં પણ વધારે પાણી આ વર્ષે માત્ર 12 ઇંચ વરસાદને કારણે લોકોના ઘરોમાં પ્રવેશ્યા છે.

આ પણ વાંચો: 12 ઇંચ વરસાદથી વડોદરા જળબંબાકાર, વિશ્વામિત્રીમાં પૂર આવતાં અડધું શહેર પાણીમાં, અઢી લાખ ઘરોમાં અંધારપટ

વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી વર્ષ 2019ના પૂરના પાણી કરતાં પણ વધારે છે. સોસાયટીના ઘરોમાં ગત પૂરની સરખામણીમાં બે ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાઈ ગયા હતાં. સોસાયટીના રહીશો પણ છેલ્લાં 30 વર્ષમાં આવું પૂર નથી જોયું તેવી વાતો કરતા થઈ ગયા હતા.

રસ્તા પર મગરોએ દેખા દીધા

વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે. જ્યારે પણ ભારે વરસાદના લીધે નદીના પાણી શહેરમાં ઘૂસે છે. ત્યારે મગરો શહેરના માર્ગો પર જોવા મળે છે. હાલમાં મગરોની વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેક્સ્યુ ઑપરેશન ચાલી રહ્યું છે. 

હરણી, મોટનાથ મહાદેવના આસપાસની સેંકડો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો પાણીમાં

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવની આસપાસની સેંકડો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ વિશ્વામિત્રી નદીની સપાટી વધ્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.અહીંના હજારો રહેવાસીઓ માટે હવે પાણી ઉતરે નહીં ત્યાં સુધી રાહ જોયા વગર છૂટકો નથી.

વિશ્વામિત્રીને કારણે વડોદરામાં પૂરથી 2019 કરતાં પણ ખરાબ સ્થિતિ, મોંઘીદાટ ગાડીઓ ડૂબી, રસ્તા પર મગર દેખાયા 2 - image

મોટનાથ મહાદેવની આસપાસ આવેલી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના લોકોના વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે અને તેઓ પોતાના મકાનોમાં નજરકેદ થઈને રહી ગયા છે. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં તેના બિહામણા દૃશ્યો પણ વાયરલ વીડિયોમાં સામે આવી રહ્યા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: નર્મદા ડેમને લઈને મહત્ત્વના સમાચાર, હાઇ ઍલર્ટ જાહેર

મોંઘીદાટ ગાડીઓ પૂરના પાણીની ચપેટમાં

કેટલાક લોકોએ પોતાની મોંઘીદાટ ગાડીઓને બચાવવા માટે રસ્તા પર મૂકી હતી પણ ત્યાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. આ વિસ્તારમાંથી રેસ્ક્યુ માટે પણ સંખ્યાબંધ કોલ ફાયર બ્રિગેડ તેમજ એન.ડી.આર.એફ.ને મળ્યા છે. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીનું વહેણ એટલું બધું છે કે, શક્તિશાળી બોટ સિવાય એન.ડી.આર.એફ. કે ફાયર બ્રિગેડના જવાનો પણ રેસ્ક્યુ કરી શકે તેમ નથી.

વડોદરાના તમામ બ્રિજ બંધ

વડોદરા શહેરમાં ગત 24 કલાકમાં વરસેલા વરસાદના લીધે શહેર જળમગ્ન બની ગયું છે. વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, જ્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી જતાં શહેરના 10 બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં વિશ્વામિત્રી બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, સમા સાવલી બ્રિજ, સમા હરણી બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, અટલાદરા માંજલપુર બ્રિજ, મુજ મોહુડા બ્રિજ સહિતના બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓએ બચાવની કામગીરી શરુ કરી દીધી છે. અત્યાર સુધીમાં 3500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

પૂરના લીધે 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં કેદ થયા

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં વિશ્વામિત્રીના પૂરના પાણીના કારણે 3000 કરતાં વધારે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે.

મળતી વિગતો પ્રમાણે વિશ્વામિત્રીની સપાટી વધ્યા બાદ પૂરના પાણી ફતેગંજ અને પ્રતાપગંજ વિસ્તારમાં પણ પ્રવેશી ગયા હતા.આ જ વિસ્તારમાં બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. હોસ્ટેલમાં આમ તો 5000 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. આ પૈકીના કેટલાક જન્માષ્ટમીની રજાઓના કારણે વતન જતા રહ્યા હતા.

આમ છતાં અત્યારે હોસ્ટેલમાં 3000 કરતાં વધારે સ્ટુડન્ટસ છે. હોસ્ટેલ કેમ્પસમાં પૂરના પાણી પ્રવેશી ગયા બાદ તેઓ કેદ જેવી સ્થિતિમાં છે. વિદ્યાર્થીઓને હોસ્ટેલની મેસમાં જમવાનું બનાવીને પહોંચાડવામાં આવ્યું છે. પૂરની સ્થિતિના કારણે ગર્લ્સ હોસ્ટેલના તમામ દરવાજાઓ બંધ કરી દેવાયા છે. પૂરના પાણી પ્રવેશી ગયા હોવાથી વિદ્યાર્થીઓની અવર જવર પર પણ હવે રોક લાગી ગઈ છે.

સ્ટેશન વિસ્તાર વિખૂટો પડ્યો, રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર હજારો મુસાફરો અટવાયા

વડોદરા શહેરમાં વરસાદ અને વિશ્વામિત્રીના પૂરે ચારે તરફ તારાજી વેરી છે. વડોદરાના  ઘણા વિસ્તારો તો એવા છે જે પાણી ફરી વળવાના કારણે બાકીના શહેરથી વિખૂટા પડી ગયા છે.

વડોદરાના સ્ટેશન વિસ્તારની પણ આ જ સ્થિતિ છે. જેના કારણે રેલવે સ્ટેશન પર અને એસટી ડેપો પર પણ હજારો લોકો અટવાઈ ગયા છે. મળતી વિગતો પ્રમાણે રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર બહારગામથી ગમે તેમ કરીને લોકો ટ્રેન કે બસ મારફતે આવી ગયા હતા પણ હવે તેઓ પોતાના ઘરે પહોંચી શકે તેવી સ્થિતિ નથી, કારણકે સ્ટેશન વિસ્તારના બે ગરનાળા તો ગઈકાલથી જ બંધ થઈ ગયા છે. બીજી તરફ વિશ્વામિત્રીમાં પૂરના કારણે અન્ય વિસ્તારો તરફ જતાં તમામ બ્રિજ પણ બંધ થઈ ગયા છે.

રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર અટવાયેલા મુસાફરો પાસે રીક્ષા ચાલકોએ ઘરે પહોંચાડવા માટે 1000 રુપિયા ભાડું માંગ્યું હોવાની ફરિયાદો પણ ઊઠી છે. વડોદરામાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ હોવાના કારણે અહીંયા અટવાયેલા મુસાફરોને તેમના ઘરે પહોંચાડવા માટે હજી સુધી તો તંત્ર કોઈ વ્યવસ્થા કરી શક્યું નથી.

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત

મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ચાર જિલ્લાના 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હોવાનું મુખ્ય ઇજનેર એમ. ટી. સંગાડાએ જણાવ્યું છે. આ તમામ ગામોમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.

તેમણે જણાવ્યું કે પંચમહાલ જિલ્લાના 288, ખેડાના 88, આણંદના 41 અને વડોદરા જિલ્લાના 152 સહિત કુલ 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે એમ.જી.વી.સી.એલની 536 ટીમોમાં 1706  કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.



Google NewsGoogle News