આપણું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ
ચ લણી નોટો, સિક્કા, રાષ્ટ્રીય દસ્તાવેજો અને રાષ્ટ્રીય સાહિત્યમાં અશોક સ્તંભનું ચિત્ર જાણીતું છે. અશોક સ્તંભ બૌધ્ધિ શિલ્પ છે તેમાં ચાર દિશા તરફ મોં રાખીને બેઠેલા ચાર સિંહ છે. દરેક સિંહની નીચે ૨૪ આરાવાળું અશોક ચક્ર છે. ચારે ચક્રની વચ્ચેની જગ્યાએ વૃષભ, અશ્વ, હાથી અને સિંહ એમ ચાર શિલ્પો છે. ભગવાન બુધ્ધનો જન્મ થયો ત્યારે તેમની માતાને સ્વપ્નમાં હાથી દેખાયેલો એટલે હાથી, બુધ્ધનો જન્મ વૃષભ રાશીમાં થયેલો એટલે વૃષભ, બુધ્ધે ગૃહત્યાગ વખતે કંથક નામના ઘોડા ઉપર સવારી કરેલી એટલે અશ્વ. આમ ત્રણ પ્રતીકો ભગવાન બુધ્ધના જીવન સાથે સંકળાયેલા છે. ચોથું શિલ્પ સિંહ જ્ઞાન અને શક્તિનું પ્રતિક છે. જ્ઞાન અને શક્તિના પ્રતીક સમા આ પ્રાચીન શિલ્પને રાષ્ટ્રીય પ્રતીક બનાવાયું છે. તેનો ઈતિહાસ પણ જાણવા જેવો છે.
ભારતમાં થઈ ગયેલા મૌર્ય વંશના સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે ૩જી સદીમાં ભારતમાં ઘણાં સ્થળોએ અશોક સ્તંભ બંધાવેલા. ૪૦ થી ૫૦ ફૂટ ઊંચા અને લગભગ ૧૦ ટન વજનના આ સ્તંભો હતા. નવાઈની વાત એ છે કે ૧૦ ટન વજનના આ સ્તંભોને બનાવ્યા પછી સેંકડો કિલોમીટર દૂર લઈ જઈ સ્થાપવામાં આવેલા. હાલમાં ભારતમાં ૧૯ અશોક સ્તંભ બચ્યા છે. આ સ્તંભો વારાણસી નજીક ચૂનાર ખાતે બન્યા હોવાનું મનાય છે. ઉત્તર પ્રદેશના સ્વરનાથમાં આવેલા અશોકસ્તંભ અકબંધ અને સારી સ્થિતિમાં છે. દરેક સ્તંભ ઉપર બ્રાહ્મી લિપિમાં લખાણ કોતરેલું છે. મોટાભાગના સ્તંભો બિહારના સાંચી, છપરા, ચંપારણ ખાતે છે. એક સ્તંભ પાકિસ્તાનના ખૈબર વિસ્તારના રાણીગેટમાં છે.