અતિથિ દેવો ભવ .
મિત કે. નાંઢા
રા મપુર નામના ગામમાં લખી નામની એક ગરીબ સ્ત્રી રહે. લખી પાસે એક જોડ કપડાં પણ પહેરવાં માટે માંડ હતાં. લખીનાં બે સંતાન. એક દીકરો અને દીકરી. લખીનો પતિ માંદગી બાદ પ્રભુને પ્રિય થઈ ગયો હતો.
ઘરમાં કમાનાર વ્યક્તિ કોઈ ન્હોતું. લખી આખો દિવસ કામ કરી પોતાનાં બે પોયરાઓનું પેટ ભરતી. લખીની ઝુંપડી સાવ ખખડધજ હતી.
એક દિવસ આ ગામમાં એક સંત આવી પહોંચ્યા. ફરતા ફરતા તે લખીની ઝૂંપડીમાં જઈ ચડયા. લખીનું જીવન જોઈ સંતને દયા આવી ગઈ. લખીએ સંતનું ઉમળકાભેર ઝુંપડીમાં સ્વાગત કર્યું. સંતને પાણીનો કળશ ભરીને પાણી પાયું. સંતને ભૂખ લાગી હતી. તેમને સારા ભાવથી જમાડયા અને તેમની આંતરડી ઠારી.
સંતે લખીને આશીર્વાદ આપ્યા, 'દીકરી! તારું ભલું થશે. તેં મારી આંતરડી ઠારી, તારી આંતરડી ઠારનારો પણ જડી જશે.' બીજા દિવસે રાજાના સિપાઈઓ આ લખીને ઘેર આવ્યા. સિપાઈઓએ કહ્યું, 'ગઈકાલે સંતનાં વેશમાં બીજું કોઈ નહીં, પણ આપણા ગામના સરપંચ હતા. ગઈકાલે ગામવાસીની પરીક્ષા થઈ હતી કે જેની સૌથી સારી નિયત હશે તેને ગામવાસી સરપંચ બનાવશે. આપણા ગામના સરપંચ હવે વૃદ્ધાવસ્થાના કારણે સરપંચ પદેથી નિવૃત થયા છે. એટલે તમને ગામનું સરપંચ પદ સોંપવું એવું નક્કી કરાયું છે.'
આ સાંભળી લખીનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. લખી તો રાતોરાત મહત્ત્વની વ્યક્તિ બની ગઈ. નિવૃત્ત થયેલા સરપંચે કહ્યું, 'જે વ્યક્તિના મનમાં બીજા પ્રત્યે આદરભાવ અને સન્માનની હોય એ જ સરપંચપદે શોભી શકે.'
હવે લખીનું જીવન ધરમૂળથી બદલાઈ ગયું હતું. આ વાર્તાનો સાર એ જ છે કે તમારા ઘરે આવતા અજાણ્યા અતિથિને પણ પ્રેમથી આવકારો. તેમને કદી હડધૂત ન કરશો. અતિથિને માંન ન આંપનાર પર ઈશ્વર પણ ક્યારેય રાજી થતાં નથી. કવિ દુલાભાયા કાગે સાચું જ કહ્યું છે કે-
'હે જી, તારા આંગણિયે પૂછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો આપજો રે...'