ઉમરગામના વંકાશ-મલાવ ગામે ટ્રકે 10 પશુને અડફટે લેતા 8ના મોત, ટ્રક ડ્રાઈવર ભાગી ગયો

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ઉમરગામના વંકાશ-મલાવ ગામે ટ્રકે 10 પશુને અડફટે લેતા 8ના મોત, ટ્રક ડ્રાઈવર ભાગી ગયો 1 - image


Vapi News : ભિલાડ-ઉમરગામ રોડ પરના મલાવ ગામે ગઇકાલે ગુરૂવારે રાત્રે અજાણ્યા ટ્રક ચાલકે એક પશુને અડફટે લીધા બાદ મોતને ધાટ ઉતારી વંકાશ ગામે ખાડીના પુલ પર 9 પશુને અડફટે લીધા હતા. જેમાં 7 પશુના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બે પશુને ઇજા પહોંચી હતી. આ ગંભીર અકસ્માતમાં આઠ પશુના મોતને પગલે જીવદયા પ્રેમી સહિત લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ઘટના સ્થળેથી અને પોલીસ પાસેથી મળતિ વિગત મુજબ ગઇકાલે ગુરૂવારે રાત્રે ભિલાડ-ઉમરગામ રોડ પરથી એક ટ્રક પસાર થઇ રહી હતી. ટ્રક ચાલકે મલાવ ગામે રોડ પર રખડતા એક પશુને ટક્કર મારતા ઘટના સ્થળે મોતને ઘાટ ઉતારી ચાલક પૂરઝડપે ટ્રક હંકારી ગયો હતો. બાદમાં વંકાશ ગામે ખાડીના પુલ પર બેઠેલા પશુઓ પૈકી નવ પશુઓને અડફટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો. ઘટનાને પગલે લોકો દોડી ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં નવ પૈકી સાત પશુઓના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બે પશુ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટનાને પગલે પોલીસ અધિકારી સહિત ટીમ વંકાશ દોડી ગઇ હતી. ગૌરક્ષકો પણ દોડી ગયા બાદ બે ઇજાગ્રસ્ત પશુઓને સોળસુંબા પાંજરાપોળમાં સારવાર અને વધુ સારસંભાળ માટે લઇ જવા હતા. એક સાથે આઠ-આઠ પશુઓના મોતને પગલે લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે આરોપી સુધી પહોંચવા સીસીટીવી ફૂટેજ મેળવવા કવાયત આદરી હતી. અત્રે નોંધનીય છે કે થોડા દિવસો આગા ઉમરગામના સોળસુંબા ગામે કાર ચાલકે ત્રણ પશુઓને કચડી નાંખતા ઘટના સ્થળે મોત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરગામ તાલુકાના જાહેર અને કોસ્ટલ હાઇવે પર પશુ માલિકોની બેદરકારીને કારણે પશુઓ દિવસ અને રાત્રિ દરમિયાન રોડ પર અડિંગો જમાવતા હોવાથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવા પ્રકારના અકસ્માત પણ બની રહ્યા છે. તંત્ર દ્વારા રોડ પર રખડતા પશુઓ અંગે ગંભીર બની પશુઓને પકડી બેદરકારી દાખવનારા પશુ માલિકો સામે કડક કાર્યવાહી કરાઇ તે જરૂરી છે.


Google NewsGoogle News