શરદચન્દ્રનો સૌન્દર્ય વિહાર .

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
શરદચન્દ્રનો સૌન્દર્ય વિહાર                                . 1 - image


શરદ ઋતુનો હવે આરંભ થયો છે. મેઘ પણ એવો જ સમાંતર ક્યાંક ક્યાંક મંડાયેલો છે. રાત્રિઓના અનેક રૂપથી જિંદગી દૈદીપ્યમાન છે. સર્વ ઋતુમાં રાત્રિની શોભા અલગ-અલગ છે. એમાંય શરદની તો વાત અનોખી છે. એક કન્યાની જેમ રાત્રિ પણ શૃંગાર કરે છે. એકાકાર માટે અંધકાર આ પ્રકૃતિને આરાધ્ય છે. વન ઘટાટોપ થઈ ગયાં છે. લીલ્લાંછમ પાંદડાઓ પર ચન્દ્ર કિરણો ઢોળાય છે ત્યારે કોઈ ટેકરીએ ચડીને અધમધરાતે ગીરના જંગલને જુએ તો આછા રેશમી ઘૂંઘટમાં વનશ્રી જંપી ગયેલી લાગે. ચન્દ્રકિરણોથી ગૂંથાયેલા આછા પાલવમાં પ્રકૃતિ ઢબુરાઈ જાય છે, લપાઈ જાય છે. એમાંય નદી કિનારાના કોઈ સીમસીમાડે ખાટલો ઢાળી ઊંચે આભમાં નજર કરો તો છુટક વેરાયેલી વાદળિયુંની વચ્ચે રમતા રમતા મધ્યાકાશે આવી જતો ચન્દ્ર મધરાતે ઊંઘમાં માતાના હૈયે અથડાતા શિશુ જેવો લાગે.

આકાશમાં શરદ ઋતુના ચન્દ્રનો સ્વૈરવિહાર ચાલે છે, પરંતુ નભમંડપમાં જોવાની તમા કોને છે? પૂર્ણિમાના પ્રફુલ્લિત વદન પછી એ જ ચન્દ્ર હવે સહેજ ઝાંખો થયો છે તોય એનું લાવણ્ય ઓછું થયું નથી. ઘણાં વરસો પછી શરદ ઋતુને વરસાદમાં ભીંજાવાની વેળા આવી છે. ઋતુઓના ચક્રમાં શરદને ભયાવહ ઘાત તરીકે મુનિજનોએ ગણાવી છે. સોન્દર્યના આરાધકોને તો એ મોહક જ લાગે છે અને સાધકોને આ ઋતુ કસોટીથી વ્યાકુળ કરે છે. શરદના આકરા તડકા સિવાય ધાન્ય પરિશુદ્ધ થતાં નથી. આ વખતે ભેજ રહી જવાનો છે. એ આવનારા વરસના આરોગ્ય પરનું જોખમ છે. પ્રાચીન ભારતીય પ્રજાએ દરેક ઋતુ પર જે સૌન્દર્ય વિચાર અને આરોગ્ય વિચાર રજૂ કર્યા છે એ તો જગતે જોટો જડે ન સ્હેલ છે. રાત્રિ માટે મહત્ જીવનો ધર્મ વિશ્રામ છે. નિશાચરોના અપવાદ સિવાય સહુને રાત્રિએ બંધનેત્રની જ આજ્ઞાા કરેલી છે. આમ પણ ઉજાસનો અભાવ જ નેત્રવિરામ છે. માણસ જાતે આદિકાળે આંખ ખુલ્લી હોય કે બંધ - બેય એક સરખા અનુભવે જ ઝાડને ટેકે ઢળી પડવાનું ધાર્યું હશે.

શાન્ત-પ્રશાન્ત આસન જમાવ્યા વિના અમૃતતુલ્ય રાત્રિરસ અંત:કરણમાં ન અવતરે. સોમરસના ઘણા અર્થ ભલે હોય એનો એક અર્થ રાતભર નીતરતી ચાંદનીનો આસવ એવો પણ થાય છે. બેસી રહેવું રાતભર એ પ્રથમ ટયુન-ઈન સ્થિતિ છે. પ્રાચીનકાળમાં ઋષિઓ વનમાં જપતપ કરતા હતા. તેઓ આદિત્ય પૂજક હતા અને ઉજાસના આરાધક હતા તો પણ આ બ્રહ્માણ્ડમાંથી તેમણે જે કંઈ વિશેષ જ્ઞાાન પ્રાપ્ત કર્યું એમાંનો મહત્ અંશ તો તેમણે અખંડ રાત પછી રાતના સિલસિલામાંથી જ પ્રાપ્ત કર્યું હશે. રાતની અસલી ઓળખ વિનાનો કોઈ કલાકાર કે વિદ્વાન હોવો આસાન નથી. રાત સાથે જ દોસ્તી કરીને લોકો રંકમાંથી રાય અને કંકરમાંથી શંકર થયેલા છે. રાત પાસે એની પોતાની જાદુગરી છે. રાત એટલે જ એક મિસ્ટિરિયસ બ્લેક મેજિક, પરંતુ એ બધા માટે નથી. સામાન્ય લોકોએ તો રાતના કાંઠે કાંઠે જ છબછબિયાં કરીને પોઢી જવાનું હોય છે. યજુર્વેદમાં અહોરાત્ર શબ્દ અનેકવાર આવે છે તે રાતનું આકંઠ પાન કરનારા આદિપુરુષોએ જ ઉચ્ચારેલો છે.

શિવને રાત્રિ પ્રિય છે અને એ એમના દેવાધિદેવ હોવાનું એક કારણ પણ છે. રાત હોય ત્યાં જ તો ચન્દ્રને જિંદગી મળે છે. એટલે જ સંકટ સમયે ચન્દ્ર દોડીને શિવશરણે ગયેલો છે અને શિવ તો ભોળા ભગવાન છે, એમણે શરણે આવેલા ચન્દ્રને મસ્તક પર ધારણ કર્યો છે. પૂણમાની રાતે ચન્દ્ર જે દરિયાને આભમાં ઉછાળે છે એ જ ચન્દ્ર શિવના મસ્તક પર આસન જમાવીને જટામાંથી વહેતી ગંગાને ધરા પર વહેતી કરે છે. ગંગાને લોકગંગા બનાવે છે. શરદ ઋતુમાં ચન્દ્ર વરસના સર્વશ્રેષ્ઠ સૌન્દર્યને આકાશમાં પ્રવાહિત કરે છે. જ્યારે ચન્દ્ર અપાર શીતળતાનો અમૃતકુંભ લઈ ગગન વિહારે નીકળે છે એને ઘૂંટડે ઘૂંટડે પીવા માટે જ તો અગાસીમાં દૂધના કટોરા આપણે ધરીએ છીએ. ન્હાનાલાલ એટલે જ કહે છે કે ચન્દ્રીએ અમૃત મોકલ્યા બેની, ફૂલડાં કટોરી ગૂંથી લાવ...!

ચન્દ્રની કળાઓ સોળ છે, પરંતુ સોળમી કળા તો માત્ર શરદની પૂનમે જ ચન્દ્ર રજૂ કરે છે. એ સોળમી કળા એટલે શું અને કેવો એનો વૈભવ એ જાણવા માટે તો કોઈ ગમતા સાગર કિનારે જ્યાં વારંવાર ઉછળતાં મોજાંની છાલક વાગે તેવી ભેખડ પર રાતભર એકાન્તે બેસો તો ખબર પડે, કારણ કે સોળમી કળા નિ:શબ્દ, અદભુત અને અવર્ણનીય હોય છે. એ દરેકના હૈયે નવનવા રૂપે પ્રગટ થાય છે. રાતનો રંગ શરદ સ્વપ્રયત્ને બદલાવે છે. શરદની રાત્રિઓને સિલ્વર મૂન નાઈટ કહેવાય છે. આપણે ત્યાં ધાતુઓમાં રજતને ચાંદી કહીએ છીએ. ચાંદી શબ્દ ચાંદ અને ચન્દ્ર પરથી આવેલો છે. શરદની રાતના અંધકારનો એ જાણે કે ચાંદીના વરખમાં મઢાયેલો હોય એવા માધુર્ય સાથે આસ્વાદ લેવા જેવો છે.


Google NewsGoogle News