બજારની અકળ ગતિ .

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
બજારની અકળ ગતિ                                                  . 1 - image


ભારતીય શેરબજારમાં સદાય રહસ્યમય ગતિવિધિ ચાલતી રહે છે. નાણાં મંત્રાલય સિવાયની કેન્દ્ર સરકારની એક ગોપનીય ટીમ એવી છે જેની શેરબજાર પર નજર રહે છે, કારણ કે દુનિયાના અને દેશના એક વર્ગમાં હજુ પણ શેરબજારને દેશના અર્થતંત્રના બેરોમીટર તરીકે જોવાની ટેવ છે. હમણાંથી ભારતીય શેરબજારની ચાલ અર્થતંત્રથી વિપરીત છે. વિકાસના અંદાજ પણ પતન પામવા લાગ્યા છે ત્યારે શેરબજારમાં મજબૂતી જોવા મળે છે. આ મજબૂતી જો કે બધા જ શેરોમાં વ્યાપક નથી પરંતુ મહત્ત્વના અને લીડ કરનારા શેરોમાં છે. બજારની આ અકળ ગતિ જલ્દીથી ઓળખાય એવી નથી. આમ પણ ભારતીય શેરબજારમાં એક નંબરના અને બે નંબરના એમ બન્ને પ્રકારના ખેલાડીઓ સક્રિય હોય છે એટલે આજકાલના નવા ઉછાળા છતાં નાટયાત્મકતા તો જળવાશે જ.

એનું બીજું એક કારણ એ છે કે આ બજાર હવે આંચકા પચાવી જાય છે.  પાછલા અનુભવોમાં નાના રોકાણકારો અનેકવાર ધોવાયા છે. અનેકવાર એવું બન્યું છે કે શેરદલાલોની એક રિંગ બની જાય છે અને બધે લીલી વાડી દેખાવા લાગે છે. એટલે નાના રોકાણકારોનો વિરાટ સમૂહ એમાં પ્રવેશે છે. પછી નાટયાત્મક રીતે રાતોરાત ચિત્ર બદલાઈ જાય છે. શેરબજારમાં એવા અનેક કડાકાઓ થયા છે. એટલે પ્રારંભિક કોઈ પણ તેજી એ વધુ એક નવા કડાકા તરફ તો નથી લઈ જતી ને? એ રોકાણ સાહસિકોએ જોવું પડે, કારણ કે ઘણીવાર લીડ શેરોને બી જૂથના શેરો અનુસરવા લાગે છે. એવા ડોગ શેરમાં અનેક લોકો આજ સુધી ધોવાયા છે, કારણ કે આખરે તો જે તે કંપનીના ફન્ડામેન્ટલ વિકાસ પર જ બધો આધાર હોય છે.

હર્ષદ મહેતાના જમાનાથી પોતાના શેરને ફુલાવવાની જે કેટલીક કંપનીઓને ટેવ પડી છે એ હજુ કંઈ ગઈ નથી. તેઓ નીચા ભાવે પોતાના જ કરોડોના શેર બજારમાંથી ધીરે ધીરે કવર કરી લે છે. પછી એકાએક લેવાલી વધારીને ઊંચા ભાવે લઈ જઈ તમામ અંકે કરેલા શેર વેચીને જંગી મૂડી ઊભી કરી લે છે. બેન્કોના વ્યાજદર ઘટયા પછી એક સાવ નવો જ રોકાણકાર વર્ગ બજારમાં દાખલ થયો છે અને એણે હજુ આ બધા ભીતરી ચલણ-વલણ જાણવાના બાકી છે. શેરબજારમાં હંમેશા રોકડિયું જ્ઞાાન મળે છે એટલે કે રોકડ ગુમાવીને પ્રાપ્ત થતું જ્ઞાાન! એટલે નવા રોકાણકારોએ બેન્કોના વિકલ્પે ઊંચી ટકાવારી લઈ લેવા જો અહીં ઝંપલાવ્યું હોય તો એમણે આંખેથી પાટા છોડીને સાવધાન રહેવાની જરૂર છે.

દેશના અર્થતંત્ર પર નજર રાખનારાઓ શેરબજારની ગતિ જોઈને ઉલઝનમાં પડી જાય એવું આ હવામાન છે. દેશના આર્થિક વિકાસદર સામે પહાડી આશંકાઓ છે. ઉત્પાદન, સેવાઓ અને કૃષિનો કુલ સરેરાશ વિકાસદર આ ચાલુ નાણાંકીય વરસના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિક્રમજનક તળિયે પહોંચ્યો છે. રેટિંગ એજન્સીઓ વિકાસદરનો અંદાજ ઘટાડવા લાગી છે, પરંતુ બીએસઈ અને એનએસઈનો ગ્રાફ સતત, થોડીક વચગાળાની ચડ-ઉતર બાદ કરતાં, સતત ઊંચે જઈ રહ્યો છે. શેરબજાર આવા અણધાર્યા ઉછાળા કેમ મારી રહ્યું છે? રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો વિકાસદર ઘટાડીને ૫.૬ ટકા કરી દીધો છે. એણે એના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે ભારતનો વિકાસ એના એ પહેલાના એટલે કે પાછલા વરસોની તુલનામાં ઓછો રહેશે.

હકીકત એ છે કે હવે શેરબજારને દેશના અર્થતંત્રનો અરીસો સમજવાની ધારણા જ ખોટી છે. આર્થિક વિકાસના આંકડાઓનો શેરબજાર પર પ્રભાવ જરૂર પડે છે, પરંતુ હવે તો એ થોડા સમય માટે જ હોય છે. હજુ સુધી ન ઝડપાયેલા અને એથી જેલમાં ન ગયેલા બેન્ક અધિકારીઓએ વિવિધ કંપનીઓ સાથે મળીને જે કૌભાંડો આચયાંર્ છે એની તો આખી નવી વંશાવલિ જ પ્રગટ થવાની બાકી છે. એવા અધિકારીઓના પેન્શન તો જશે, પણ સરકાર એમની મિલકતોનું પણ લીલામ કરીને એ રકમ બેન્કમાં જમા લેશે. દેશના મુખ્ય નાણાંકીય પ્રવાહની આધારશીલા એવી બેન્કોની અરાજક્તાની પણ હવે શેરબજારને કંઈ પડી નથી. વિકાસ નરમ છે, પરંતુ સેન્સેક્સ ગરમ છે. આ કૌતુકમાં બહુ રાજી થવા જેવું નથી અને રોકાણકારોએ ખરેખર તો ચેતીને ચાલવા જેવું છે. અત્યારે ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશોમાં શેરબજારમાં ગરમાવો જોવા મળે છે. વૈશ્વિક મંદીના આ વાતાવરણમાં ભારતનું બુનિયાદી અર્થતંત્ર તો એ દિશામાં ગતિ કરી રહ્યું છે જ્યાં મંદીની સૌથી વધુ અસર થવાની દહેશત વિદ્વાનોએ વ્યક્ત કરી છે.


Google NewsGoogle News