સુરેન્દ્રનગર-દૂધરેજ રોડ પર ટેન્કર પાછળ ટુ વ્હીલર ઘુસી જતા પત્નીનું મોત
- ગમખ્વાર અકસ્માત સર્જાયો
- પતિને ગંભીર ઈજાઓ થતા હોસ્પીટલ ખસેડાયો, ટેન્કરચાલકને પોલીસે ઝડપી પાડયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર-દુધરેજ રોડ પર ટેન્કર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૫ત્નીનુ મોત નિપજ્યું હતુ જ્યારે પતિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર દુધરેજ રોડ પર શહેરના કરમણપરા વિસ્તારમાં રહેતા પરિવારના રવીભાઈ દસાડીયા અને તેમના પત્ની ખ્યાતીબેન દસાડીયા ટુવ્હીલર પર જઈ રહ્યા હતા તે દરમિયાન સી.યુ.શાહ મેડિકલ કોલેજ પાસે આગળ જઈ રહેલ ટેન્કરના પાછળના ટાયરમાં ટુવ્હીલર ઘૂસી જતાં દંપતી નીચે પટકાયા હતા. જેમાં પત્ની ખ્યાતીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે પતિ રવિભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં આસપાસના લોકો સહિત વાહન ચાલકો ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની પત્નીની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવથી મૃતકના પરિવારજનો તેમજ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી જ્યારે દંપતિને લગ્નજીવન દરમ્યાન એક સંતાન હોવાનું પણ જણાઈ આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી ટેન્કરના ચાલકને ઝડપી પાડયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં ટ્રક, ડમ્પર અને ટેન્કર સહિતના ભારે માલવાહક વાહનો પસાર થાય છે જેના કારણે આગાઉ પણ અકસ્માતના બનાવો બની ચૂક્યા છે ત્યારે ફરી એકવાર ટેન્કર અને ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં એક પરિણીતાનુ મોત નિપજ્યું હતુ.