ઝાલાવાડમાં ફાફડા, જલેબી અને ચોળાફળીના ભાવમાં 30 ટકા સુધીનો વધારો
- આજે વિજયા દશમીની ઉજવણી કરાશે
- ભાવવધારા છતાં લાખો રૂપિયાનું વેચાણ થવાની વેપારીઓને આશા
સુરેન્દ્રનગર : ઝાલાવાડમાં નવરાત્રિ પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કર્યા બાદ આજે અસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એવા દશેરાનાં પર્વની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, ત્યારથી પરંપરાગત રીતે દશેરા એટલે કે વિજયા દશમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.
દશેરાના દિવસે શસ્ત્રપૂજન અને રાવણદહન ઉપરાંત જલેબી અને ચોરાફળીનો સ્વાદ માણવાનું વલણ ઝાલાવાડ વાસીઓમાં જોવા મળે છે. ચાલુ વર્ષે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં જલેબી, ફાફડા અને ચોળાફળીના ભાવમાં પણ અંદાજે ૨૦ થી ૩૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
દશેરાનાં દિવસે સમગ્ર જિલ્લામાં લોકો પરિવાર અને મિત્રો સાથે ફાફડા, જલેબીની જયાફત માણશે, ત્યારે લાખો રૂપિયાના ફાફડા,જલેબી અને ચોરાફળીનું વેચાણ થવાની શક્યતા છે. ચાલુ વર્ષે ચણાનો લોટ, ઘી સહિતની ખાદ્ય ચિજવસ્તુઓનાં ભાવોમાં વધારો નોંધાતા જલેબી,ચોરાફળી અને ફાફડા ગાંઠીયાના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે વેપારીઓનાં જણાવ્યા મુજબ ભાવમાં વધારો હોવા છતાં દશેરાનાં દિવસે ઘરાકીમાં કોઈપણ જાતનો ફેર પડશે નહી અને રાબેતા મુજબની ઘરાકી રહેવા પામશે.
ઝાલાવાડમાં આજે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં ઝાલાવાડવાસીઓ ફાફડા, જલેબી અને ચોળાફળીની જયાફત બોલાવશે. ચાલુ વર્ષે ભાવમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો થયો હોવા છતાં બજારમાં ઘરાકી જોવા મળશે તેવી આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.