હત્યા કેસમાં પાંચ માસથી ફરાર બે આરોપી ચોટીલાથી પકડાયા
હત્યાનો ગુનો નોંધાયા બાદ આરોપીઓ ધરપકડથી બચવા અલગ-અલગ જગ્યા નાસતા ફરતા હતા
સુરેન્દ્રનગર : ચોટીલા પોલીસ મથકે નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા પાંચ માસથી ફરાર બે આરોપીને સુરેન્દ્રનગર પેરોલ ફર્લો ટીમે ચોટીલા તળેટી વિસ્તારમાંથી ઝડપી લીધા હતાં.
ચોટીલા પોલીસ મથકે વર્ષ ૨૦૨૩માં નોંધાયેલા હત્યાના ગુનામાં ગારીડા ગામના બાબુભાઇ દેવશીભાઇ વાટિયા અને રાજકોટ જિલ્લાના માલિયાસણ ગામના દિપકભાઇ ચોથાભાઇ કિંસલાનું નામ ખુલ્યું હતુ. હત્યાનો ગુનો નોંધાયો ત્યારથી બન્ને આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા અલગ અલગ જગ્યાએ નાસતા ફરતા હતા.
ત્યારે બન્ને આરોપીઓ ચોટીલા તળેટી વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો ટીમને મળતા પોલીસ ટીમે તળેટી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. તે દરમિયાન ફરાર બન્ને આરોપીઓ બાબુ વાટિયા અને દિપક કિંસલા ત્યાંથી પસાર થતાં તેમને ઝડપી લઇ ચોટીલા પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.