મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરીણિતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો
દહેજના ખપ્પરમાં વધુ એક પરીણિતાનો ભોગ લેવાયો
પતિને કામ છૂટી જતાં અવારનવાર પિયરથી પૈસા લાવવા સહિતના મુદ્દે સાસરિયા દબાણ કરતા હતા
મોરબીના મકનસર પ્રેમજીનગરના રહેવાસી ગીતાબેન કિશોરભાઈ પરમારે આરોપીઓ મનસુખ ઉર્ફે જીગો દેવજીભાઈ ચૌહાણ, કાંતાબેન દેવજીભાઈ ચૌહાણ, અરુણાબેન દેવજીભાઈ ચૌહાણ અને ગોપાલ દેવજીભાઈ ચૌહાણ (રહે. બધા રોહીદાસપરા, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી મિતલબેનના લગ્ન રોહીદાસપરામાં રહેતા દેવજીભાઈના દીકરા મનસુખ ઉર્ફે જીગો સાથે કર્યા હતા લગ્ન બાદ સાસુ, નણંદ, જેઠ અને પતિએ એકાદ મહિનો સારી રીતે રાખી હતી. બાદમાં જમાઈ મનસુખને કામ છૂટી જતા દીકરીને પિયરથી અવારનવાર રૂપિયા લઇ આવવા દબાણ કરતા હતા. ગત તા ૧-૧૧ ના રોજ સાંજે દીકરી મિતલનો ફોન આવ્યો ત્યારે ફરિયાદી ઘર વખરીની નાની મોટી વસ્તુ લેવા ગયા હતા. જેથી મિતલને કહ્યું તારે કાઈ વસ્તુ લેવી હોય તો બજારમાં આવો, પરંતુ દીકરીએ મોટરસાયકલ ખરાબ થઇ ગયું છે અને બજારમાં આવતા નથી, તમે ઘરે જાવ, આજે કડવા ચૌથનું વ્રત રાખેલ છે, જે ઉજવવા અમે ત્યાં આવવાના છીએ, વાત કરીને ફોનમાં રોવા લાગી હતી અને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં ફોન કરતા દીકરીએ ફોન ઉપાડયો નહિ. સાંજે મોબાઈલ પર જાણ થઇ કે મિતલે ઘરે ગળેફાંસો ખાઈ લેતા પતિ સહિતના સાસરિયા સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાઈ હતી.