હળવદની બજારમાં ગટરના પાણી ફરી વળતા વેપારીઓ પાલિકાએ ધસી ગયા
- એક બીજાને ખો આપવાને બદલે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી
- ફરિયાદ સાંભળવા કોઈ અધિકારીઓ હાજર ન હોવાથી વેપારીઓમાં ભારે રોષ
હળવદ : હળવદની બજારમાં ઉભરાતી ગટરના દુર્ગંધ મારતા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા ત્યારે ઉષ્કેરાયેલા વેપારીઓ આ સમસ્યાના ઉકેલ માટે આવેદનપત્ર આપવા નગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ, આવેદનપત્ર સ્વીકારવા માટે કોઈ અધિકારી હાજર ન હોવાથી વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. પાલિકાના કર્મચારીઓ એક બીજાને ખો આપવાના બદલે સત્વરે ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ લેવે તેવી માંગણી વેપારીઓએ કરી છે.
હળવદમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી રોડ પર આવવાની સમસ્યાને લઈને વેપારીઓ રોષે ભરાયા હતા અને સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ, હળવદ નગરપાલિકા ખાતે આવેદન સ્વીકારવા માટે કોઈ અધિકારી હાજર ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
હળવદમાં શક્તિ ટોકીઝ, બેંક, સ્વીટ માર્ટવાળી ચોકડીથી દક્ષિણ તરફ ગંગા તલાવડી સુધી રસ્તા પર ગટરના દુર્ગંધ મારતા પાણી ઉભરાઈને રસ્તા પર સતત ચાલુ રહેતા વેપારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને વેપારીઓએ નગર પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર દ્વારા નિરાકરણ લાવવા માંગ કરી છે. વેપારીએ જણાવ્યું છે કે, ગટરના પાણી રોડ પર સતત રહેતા બહારથી આવતા ગ્રાહકો અને વેપારીઓને મુશ્કેલી થતાં આવવાનું ટાળી રહ્યા છે. જેને કારણે વેપારીઓને આથક નુકશાન થઇ રહ્યુ છે. તેથી વહેલી તકે ગટરના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ વેપારીઓએ કરી છે.