દસાડાના નાના ગોરૈયા ગામે પુત્રે જ પિતાની હત્યા કરી નાંખી
- 115 વિધા જમીન પોતોના નામે નહીં કરતા પુત્ર ઉશ્કેરાયો
- પિતાની હત્યા માટે ગામના યુવકને 10 લાખમાં સોપારી આપી, બંને જણાની ધરપકડ કરાઇ
સુરેન્દ્રનગર : દસાડાના નાના ગોરૈયા ગામે આધેડ ખેડુતની હત્યા પાછળ ચોંકાવનારૂ કારણ બહાર આવ્યું હતું જેમાં ખેડુતે પોતાની ૧૧૫ વિધા જમીન પુત્ર અમીતકુમારના નામે નહિં કરતાં રોષે ભરાયેલ પુત્રએ ગામમાં રહેતા યુવકને પિતાની હત્યા કરવા માટે રૂા.૧૦ લાખની સોપારી આપતા યુવકે ખેડુતની હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે પુત્ર સહિત બે જણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દસાડા તાલુકાના સડલા ગામની સીમમાંથી નાના ગોરૈયા ગામના આધેડ ખેડૂતની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં પ્રાથમિક તપાસ કરતા ખેડુતને ગળે ટુપો દઈ હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું હતું અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથધરી હતી જેમાં ગણતરીના કલાકોમાં હત્યા નીપજાવનાર પુત્ર સહિત બે શખ્સોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
દસાડા તાલુકાના નાના ગોરૈયા ગામે રહેતા ખેડુત શાંતિલાલ બાબુભાઈ પટેલની સેડલા ગામે આવેલ ખેતરની ઓરડીમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી .
અને પ્રાથમિક તપાસમાં આધેડ ખેડુતને ગળેટુંપો દઈ હત્યા નીપજાવી ઓરડીમાં મૃતદેહ મુકી આરોપીઓ નાસી છુટયા હોવાનું બહાર આવ્યું હતું તેમજ મૃતક ખેડુતનો પુત્ર હોસ્પીટલે મૃત્યુ બાદ પણ ન આવતાં પોલીસને પુત્ર પર શંકા ગઈ હતી.
ત્યારે હત્યાના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી અલગ-અલગ ટીમો બનાવી બનાવ સ્થળની મુલાકાત થઈ ટેકનીકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથધરી હતી.
જેમાં મૃતક ખેડુતના પુત્ર અમીતકુમાર દલસાણીયા અને હત્યા નીપજાવનાર કલ્પેશ ઉર્ફે નિલેશ સહિત બે વ્યક્તિની ધરપકડ કરી પુછપરછ કરતાં બન્ને ભાંગી પડયા હતા. જેમાં પુત્ર અમીત કુમારના કહેવાથી કલ્પેશ ઉર્ફે નિલેશભાઈ છનીયારા રહે.નાના ગોરૈયાવાળાએ સેડલા ગામની સીમમાં ખેતરે જઈ ખેડુતને કેબલ વાયરથી ગળેટુંપો દઈ હત્યા નીપજાવી હોવાની કબુલાત કરી હતી આથી પુત્ર સહિત બન્ને શખ્સોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.