ઝીંઝુડા પાસે ઝાડ સાથે લટકી મોરબીના પ્રેમી યુગલે જીવ ટુંકાવ્યો

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ઝીંઝુડા પાસે ઝાડ સાથે લટકી મોરબીના પ્રેમી યુગલે જીવ ટુંકાવ્યો 1 - image


- લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ

- યુવક અને સગીરા બે દિવસ અગાઉ ઘરેથી ચાલ્યા ગયા હોવાનું ખુલ્યું

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ પાસે આવેલા એક મંદિર નજીક ઝાડ સાથે લટકી આત્મહત્યા કરેલી હાલતમાં યુવક-યુવતીની લાશ મળી આવી હતી. જે અંગે નાની મોલડી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

નાની મોલડી તેમજ ઝીંઝૂડા ગામ વચ્ચે આવેલા હનુમાનજીના મંદિર પાસે ઝાડ સાથે દોરડું બાંધી સજોડે આત્મહત્યા કરેલી હાલતમાં યુવક-યુવતીની લાશ લટકતી હોવાની જાણ આસપાસના લોકો તેમજ મંદિરે આવતા દર્શનાર્થીઓને થતા આ અંગે નાની મોલડી પોલીસને જાણ કરી હતી. 

આથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બન્નેની લાશનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મોરબી જિલ્લાના સુલતાનપુર ગામના હોવાનું બહાર આવ્યું હતું અને બે દિવસ પહેલા બન્ને ઘરે થી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયાં હતાં અને ત્યારબાદ ચોટીલા તાલુકામાં આવી આત્મહત્યા કરી હોવાનું જણાઇ આવ્યું હતુ. 

જ્યારે વધુ તપાસ કરતા મૃતક યુવક વિશાલ પાટડિયા અને મૃતક યુવતી સગીરા હોવાનું ખુલ્યું હતું. પ્રેમી પંખીડાની આત્મહત્યાના બનાવથી બન્નેના પરિવારજનો સહિત સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સમાજ અને પરિવાર બન્નેને એક નહિ થવા દે તેવા ડરથી આત્મહત્યા કરી હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News