સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 91.25 ટકા ભરાતા ઓવરફ્લો થવાની શકયતા
- નદીના પટમાં અવરજવનર ન કરવા તાકિદ
- સુરેન્દ્રનગર શહેર સહિત બે તાલુકાના 11 ગામોને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારને પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમમાં પાણીની આવક વધતા ડેમ ઓવરફલો થવાની શક્યતાઓ સેવાતા વહિવટી તંત્ર એલર્ટ બન્યું હતું અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદને પગલે નર્મદા કેનાલમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે જેના ભાગરૂપે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતાં સુરેન્દ્રનગર શહેરમાં આવેલ ધોળીધજા ડેમમાં પણ કેનાલના પાણીની આવક વધતા ડેમ ૯૧.૨૫% જેટલો ભરાઈ ગયો છે અને ગમે ત્યારે ઓવરફલો થવાની શક્યતાઓ સેવાઈ રહી હોવાથી ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા સુરેન્દ્રનગર શહેર, રતનપર, જોરાવરનગર, વઢવાણ તાલુકાના ખમીસણા, વઢવાણ, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને લીંબડી તાલુકાના શિયાણી, નટવરગઢ, દોલતપર, રામરાજપર, જાંબુ, પરનાળા સહિતના ગામના લોકોને ભોગાવો નદીના પટમાં અવરજવર નહિ કરવા તથા માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા માટે તાકીદ કરવામાં આવી છે.