સુરેન્દ્રનગર- દુધરેજ નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
- યુવક બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો
- પોલીસે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલ તેમજ ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી તેમજ અપમૃત્યુના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે વઢવાણ ૮૦ ફુટ રોડ પર રહેતો યુવક અગમ્ય કારણોસર દૂધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કરતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
દૂધરેજ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકની લાશ તરતી હોવાની જાણ આસપાસથી પસાર થતાં રાહદારીઓ સહિત વાહનચાલકોને થતાં આ અંગે સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ પાલીકાના ફાયર ફાયટર ટીમ સહિતનો સ્ટાફ કેનાલ ખાતે આવી પહોંચ્યા હતાં. તેમજ યુવકની લાશને કેનાલમાંથી બહાર કાઢી સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃત પામનાર યુવક વઢવાણ ૮૦ ફુટ રોડ પર રહેતા ધનજીભાઈ રઘુભાઈ ગમારા ઉર્ફે ઘનો ગમારા હોવાનું બહાર આવ્યું હતું
અંદાજે બે-ત્રણ દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યાં વગર ચાલ્યા ગયા હોવાનું બહાર આવ્યું હતું જ્યારે આ બનાવને પગલે ભરવાડ સમાજના આગેવાનો અને યુવાનો તેમજ પરિવારજનો હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે ઉમટી પડયા હતાં. તેમજ યુવકની આત્મહત્યાને પગલે સમગ્ર પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.