સુરેન્દ્રનગર પાલિકા તંત્ર દ્વારા નવા બાંધકામનું રોજકામ કર્યા વગર જ નોટિસ પાઠવી દેવાઇ
- સ્થળ તપાસ કર્યા વગર જ બારોબાર નોટિસો અપાય છે
- ચીફ ઓફિસરને રજુઆત બાદ પાલિકા તંત્ર દ્વારા બાંધકામ દુર કરવાની નોટીસ પાઠવી હતી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં ચાલુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પાલિકા દ્વારા રોજગામ કર્યા વગર જ નોટિસ પાઠવી દીધી છે અને નોટિસ પાઠવવા છતાં પણ આ ગેરકાયદેસર બાંધકામ ચાલુ રહેતા ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્રની મિલી ભગત હોવાની આશંકાઓ પણ સેવાઇ રહી છે.
આ અંગે જાણવા મળતી વધુ વિગતો મુજબ સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ ઉપર કેયુર નિરંજનભાઇ દ્વારા બનાવતા બિલ્ડિંગના પ્લાન અને કાગળો આર.ટી.આઇ.ની માહિતીમાં માંગતા આ બાંધકામ ગેરકાયદેસર રીતે થતું હોવાનું ખુલવા પામ્યું હતું જેને લઈને નિમિત્ત એન. શાહ દ્વારા સુરેન્દ્રનગર પાલિકાના ચિફઓફિસરને ફરિયાદ કરાઈ હતી.
જેને લઈ ચીફ ઓફિસરે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ પાઠવી હતી તેમ છતાં બાંધકામ દુર ન કરી કામગીરી શરૂ રાખવા આવી હતી જે મામલે પાલીકા તંત્ર દ્વારા પુરાવા માંગતા ખુદ પાલિકા તંત્ર દ્વારા જ રોજકામ ન કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
આથી પાલિકા તંત્ર દ્વારા રોજકામ ન કર્યું હોવા છતાં નોટીસ પાઠવી દેતા પાલિકાના ચીફઓફીસર તેમજ એન્જીનીયરની ટીમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે અને ઓફીસમાં બેઠા બેઠા જ સ્થળ તપાસ કર્યા વગર નોટીસ પાઠવી દેતા હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું.
જ્યારે આ મામલે પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ક્યારે બંધ કરાવશે તેના પર સૌની મીટ મંડાઈ છે.