થાનના નવાગામમાંથી બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડયો

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
થાનના નવાગામમાંથી બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડયો 1 - image


- છેલ્લા 15 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી

- રૂા. 69,702 ની કિંમતની એલોપેથો દવાઓનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે બાતમીના આધારે થાન તાલુકાના નવાગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડયો હતો. એસઓજી પોલીસ ટીમે બોગસ ડોક્ટર પાસેથી રૂપિયા ૬૯૭૦૨ ની કિંમતની એલોપેથી દવાઓનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં આ બોગસ ડોક્ટર છેલ્લા ૧૫ વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની વિગતો બહાર આવી હતી.

થાન તાલુકાના નવાગામમાં આંગણવાડી પાસે રહેતા દિનેશભાઇ ઉર્ફે દામોદરદાસ હિરાદાસ રામાનુજ કોઇ પણ જાતની ડીગ્રી વગર લોકોને એલોપેથી દવા આપી સારવાર કરતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં દિનેશભાઇ રામાનુજ પોતાના રહેણાંક મકાનમાં જ ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા પોલીસે રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસ ટીમે સ્થળ પરથી અલગ અલગ ૪૦ પ્રકારની એલોપેથી દવાઓનો જથ્થો તેમજ સારવાર માટેના સાધનો સહીત કુલ રૂપિયા ૬૯૭૦૨ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દિનેશભાઇ રામાનુજ છેલ્લા ૧૫ વર્ષથી કોઇ પણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ડોક્ટર તરીકે પ્રેકટીસ કરી લોકોની સારવાર કરતો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. આથી એસઓજી પોલીસે દિનેશભાઇ રામાનુજ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News