સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે 7 કિલોમીટરથી વધુ રસ્તાઓનું ધોવાણ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે 7 કિલોમીટરથી વધુ રસ્તાઓનું ધોવાણ 1 - image


- એક જ સારા વરસાદમાં શહેરમાં ઠેરઠેર ખાડારાજથી વાહનચાલકો ત્રાહીમામ

- રસ્તાઓના કામમાં લોટ, પાણી અને લાકડા જેવો ઘાટ સર્જાયો હોવાનો સ્થાનીકોનો આક્ષેપ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં ચાલુ વર્ષે જન્માષ્ટમી સમયે ધોધમાર વરસાદે શહેરના અનેક રસ્તાઓ ધોઇ નાંખ્યા છે જેમાં પાલિકાની ટીમ દ્વારા શહેરમાં સર્વે કરવામાં આવતા અંદાજે ૭ કિલોમીટરથી વધુના રસ્તાઓ વરસાદમાં સાવ ધોવાઇ જતાં આ રસ્તાઓનું પાલિકા તંત્ર દ્વારા રૃપિયા ૧૦ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવશે. પાલિકા તંત્ર દ્વારા હાલ તો શહેરમાં કમરતોડ રસ્તાઓ પર થીંગડા મારી પાલિકાની આબરુ ઢાંકવાનો પ્રયાસ કર્યો છે પરંતુ શહેરમાં એક જ સારા વરસાદે પાલિકા દ્વારા બનાવેલા નબળા રસ્તાઓની પોલ ખોલી નાંખી છે.

સુરેન્દ્રનગર શહેરમાં જન્માષ્ટમી સમયે સતત ત્રણ દિવસ સુધી મેઘમહેર જોવા મળી હતી આ ધોધમાર વરસાદમાં શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થઇ જતાં હાલ શહેરમાં બિસ્માર બનેલા રસ્તાઓથી શહેરીજનો તોબા પોકારી ગયાં છે.વરસાદના કારણે શહેરના રિવરફ્રન્ટ રોડ, મેડિકલ કોલેજ રોડ, હેન્ડલુમ ચોક રોડ,  ટાંકીચોક રોડ સહીતના વિસ્તારમાં આવેલા રસ્તાઓનું ધોવાણ થઇ જતાં હાલ આ રસ્તાઓ અતિ બિસ્માર અને જર્જરિત બનતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે તંત્ર દ્વારા રસ્તાઓનું સમારકામ કરવા મામલે પાલિકા દ્વારા હાલ થીંગડા મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ માત્ર ખાડાઓમાં કપચી અને વેટમિક્સ નાંખી સંતોષ માનવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં માત્ર એક જ સારા વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થતાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓની કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થયાં છે શહેરમાં એક જ વરસાદમાં અંદાજે ૭ કિલોમીટરથી વધુના રસ્તાઓનું ધોવાણ થઇ ગયું છે ત્યારે હાલ પાલિકા તંત્ર આગામી સમયમાં આ રસ્તાઓનું રૃપિયા ૧૦ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે પરંતુ હાલ તો શહેરના ખખડધજ બનેલા રસ્તાઓથી વાહનચાલકો તોબા પોકારી ગયા છે અને આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.

સામાન્ય વરસાદમાં જ શહેરના રસ્તાઓનું ધોવાણ થતાં પાલિકાની આબરૃનું પણ ધોવાણ

સુરેન્દ્રનગર શહેરમાં જન્માષ્ટમી સમયે ત્રણ દિવસ સુધી સારો વરસાદ થતાં લોકોમાં અને ખેડુતોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી પરંતુ આ સારા વરસાદે પાલીકા તંત્રની આબરૃનું ધોવાણ કરી નાંખ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે આ એક જ વરસાદમાં શહેરમાં તમામ મુખ્ય રસ્તાઓ ધોવાઈ જતા પાલિકા તંત્ર દ્વારા બનાવેલા રસ્તાઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. તંત્ર દ્વારા બનાવેલા રસ્તાઓ એક જ વરસાદમાં ધોવાઈ જતા પાલિકા તંત્રની આબરૃનું પણ ધોવાણ થઈ ગયું હોય તેવી ચર્ચાઓએ જોર પક્ડયું છે.

રસ્તાઓના કામમાં ભાજ૫નો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે: રોહિત પટેલ-સ્થાનીક આગેવાન

સુરેન્દ્રનગર પાલિકામાં ભાજપના જ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રસ્તાઓના કામ રાખવામાં આવી રહ્યાં છે અને ભાજપના સત્તાધીશો સાથે મીલીભગત કરી હલકી ગુણવત્તાના કામ કરવામાં આવતાં એક જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જતા પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે. ભાજપના આગેવાનો અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતાં રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે જેને છાવરવા માટે જ તંત્ર દ્વારા હાલ થીગડા મારી ભાજપના ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ખરેખર રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટરોની કામગીરી અંગે પાલિકા તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ છે. પરંતુ ભાજપશાસિત પાલિકામાં હાલ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે અઢી લાખથી વધુની વસ્તી કમરતોડ રસ્તાઓથી તોબા પોકારી ગયા છે.

રૃા.૧૦ કરોડના ખર્ચે બિસ્માર બનેલ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે: સાગર રાડીયા, ચીફ ઓફીસર, સુ.નગર દુધરેજ નગરપાલિકા

સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે બિસ્માર બનેલા રસ્તાઓ અંગે પાલીકા દ્વારા સર્વે હાથધરવામાં આવ્યો હતો જેમાં શહેરમાં અલગ-અલગ જગ્યાએ કુલ ૭ કિલોમીટર જેટલા રસ્તાઓનું સદંતર ધોવાણ થઈ જતા આ રસ્તાઓનું નવીનીકરણ કરવું પડે તેવી સ્થિતિ હોવાથી પાલિકા તંત્ર દ્વારા આ અંગે રૃા.૧૦ કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ રસ્તાઓનું ટુંક સમયમાં જ નવીનીકરણ  હાથધરવામાં આવશે.

શહેરમાં કયા-કયા રસ્તાઓનું ધોવાણ થયું

- સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ રોડ

- હેન્ડલુમથી ટાવર રોડ

- બ્રહ્માકુમારી સર્કલથી ૮૦ ફુટ રોડ

- ટાવર ચોકથી ટી.બી.હોસ્પીટલ રોડ

- જેલ ચોકથી કોર્ટ સુધીનો રોડ

- રતનપર તારામણી કોમ્પલેક્ષથી પોલીસ સ્ટેશન તરફનો રોડ

- જોરાવરનગર આર્ટસ કોલેજ તરફના કોઝવેથી જોરાવરનગરને જોડતો રોડ

- વાળીનાથ સર્કલથી રતનપરને જોડતો રોડ

બિસ્માર બનેલા રસ્તાઓના ખાડા બુરવામાં પણ મોટાપાયે ભ્રષ્ટાચારની આશંકા

સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ બાદ બિસ્માર બનેલા રસ્તાઓનું સમારકામના નામે પાલિકા તંત્ર દ્વારા માત્ર થીગડા મારી અને વેટમીક્ષ નાખી સંતોષ માનતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. પાલિકા તંત્ર દ્વારા બિસ્માર બનેલા રસ્તાઓના સમારકામના નામે લાખો રૃપિયાના બીલ ઉધારવામાં આવતા હોવાની અને માનીતા કોન્ટ્રાક્ટરો અને મળતીયાઓને લાખો રૃપીયાનો આર્થિક ફાયદો કરાવવામાં આવતા હોવાનો પણ સ્થાનીકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બિસ્માર રસ્તાઓના સમારકામ પાછળ કરવામાં આવેલ ખર્ચ અંગે ન્યાયીક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.



Google NewsGoogle News