પાલિકા વિસ્તારમાં ઓનલાઈન ફરિયાદનો ફિયાસ્કો
- સ્ટ્રીટ લાઈટની સુવિધા બાબતે જનતાના ટેકસના પૈસાનો ધુમાડો !
- સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર વિસ્તારમા ૩૦ હજાર સ્ટ્રીટ લાઈટો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુકત નગરપાલિકા હેઠળ આવતા વોર્ડ વિસ્તારોમાં નાંખવામાં આવેલી એલઈડી સ્ટ્રીટ લાઈટોની સમસ્યા બાબતે ઓનલાઈન ફરિયાદ લેવાની શરૂઆત કરી હતી. ત્યારે ઓનલાઈન લેવામાં આવતી ફરિયાદ લેવાની એકાએક બંધ કરી દેવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સાથે વઢવાણ પાલિકા વિસ્તારના વિવિધ રોડ-રસ્તા અને ગલી, મહોલ્લાઓમાં લાખો-કરોડોના ખર્ચે ૧૮, રપ, ૩૬ અને ૭૦ વોલ્ટની ૩૦ હજાર જેટલી એલઈડી સ્ટ્રીટ લાઈટો નાંખવામાં આવી છે. તેમજ કોઈપણ વિસ્તારમાં ઉદ્ભવતી સ્ટ્રીટ લાઈટોની સમસ્યા માટે પાલિકા દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધાઓ શરૂ કરવામાં આવ્યા બાદ એકાએક બંધ કરી દેવામાં આવી છે. ત્યારે જનતાના પૈસાનો પાલિકાના સત્તાધીશો ધુમાડો કરી રહ્યા હોવાનો રોષ શહેરીજનોએ ઠાલવ્યો હતો.
ઉપરાંત પાલિકામાં વિસ્તારમાં નાંખવામાં આવેલી ૩૦ હજાર જેટલી સ્ટ્રીટ લાઈટના બીલ પેટે રૂ.૧૦ થી ૧પ લાખનું ચુકવવામાં આવી રહ્યાનું પાલિકાના સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિતના અનેક સોસાયટી વિસ્તારોમાં છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ રહેતી સ્ટ્રીટ લાઈટોનો સામાનો શહેરીજનો કરી રહ્યા છે. હાલ વરસાદની સિઝનમાં આ સમસ્યા સવિશેષ રહેતી હોવાની બુમરાણો પણ સાંભળા મળી રહી છે. તેવા સમયે સ્ટ્રીટ લાઈટોની ફરિયાદો નોંધાવવા માટે ઓનલાઈન સુવિધા એકાએક બંધ કરી દેવામાં ફિયાસ્કો થયો છે.