વસાવડા ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
- અમદાવાદના પરિવારને અકસ્માત નડયો
- કારમાં સવાર ત્રણ મહિલા સહિત ચાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ધ્રાંગધ્રા : અમદાવાદ-મોરબી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જયારે અન્ય ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાતે રહેતો પરિવાર શુભ પ્રસંગે મોરબી તરફ કારમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન ધ્રાંગધ્રા તાલુકાની વસાડવા ચોકડી પાસે પુરપાટ ઝડપે જઈ રહેલી ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં કારમાં સવાર તુલસીભાઈ મેઘજીભાઈ વાઘેલા (ઉં.વ. ૫૦, રહે. મોરબી)ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે કારમાં સવાર ત્રણ મહિલા અને એક પુરુષ સહિત ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે જહેમત બાદ પોલીસે ટ્રાફિક હળવો કરી વાહન વ્યવહાર પુર્વવત કરાવ્યો હતો.