સાયલા તાલુકાના ચોરવીરા ગામે નદી કાંઠે જુગાર રમતા નવ ઝડપાયા
- રાજકોટ, જામનગર, બોટાદ સહિતના જુગારીઓ પાસેથી 1.22 લાખ રોકડા સહિત કુલ રૂ. 9.41 લાખનો મુદ્દામાલ કબજે
સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના ચોરવીરા ગામે નદી કાંઠે ધમધમતા જુગારધામ ઉપર ધજાળા પોલીસ ત્રાટકીને રાજકોટ,જામનગર,કાલાવાડ અને લીંબાડા (તા.બોટાદ)ના નવ શખ્સોને જુગાર રકત રૂા.૧,૨૨,૪૯૦ની રોકડ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરેલ હોવાનું જાણવા મળે છે. આ દરોડામાં પોલીસે કુલ રૂા.૯,૪૧,૪૯૦નો મુદામાલ કબજે કરેલ હતો.
ધજાળા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે પોલીસે ચોરવીરા ગામ પાસે સુખભાદર નદીના કાંઠે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડતા જુગાર રમતા તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે તીનપતીનો જુગાર રમતા નવ શખ્સો જામનગરના હાર્દિક દિનેશભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોૈરીશંકર પુંજાણી, પ્રકાશભાઈ રમેશભાઈ જાદવ, ઈકબાલભાઈ ઉમરશાભાઈ ફકીર,વિપુલભાઈ મુળજીભાઈ વાઘેલા, અને હરી જાગુ ભાઈ વખત્યાપુરી કાલાવાડ (જિ.જામનગર)ના રાહુલભાઈ જયેન્દ્રભાઈ ભટ્ટ,રાજકોટના મુકેશભાઈ લક્ષ્મીદાસ કોટક,અને લીંબોડા(તા.બોટાદ) ના રાજુભાઈ દેવાભાઈ લીંબડીયાને રૂા. ૧,૨૨,૪૯૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જયારે આ જુગારધામનો સંચાલક ચોરવીરા(ડી.) ગામનો શંતુભાઈ જેબલીયા નાસી ગયો હતો. પોલીસે ઘટના સ્થળેથી રોકડ ઉપરાંત ત્રણ કાર, છ મોબાઈલ,સહિત કુલ રૂા. ૯,૪૧,૪૯૦નો મુદામાલ કબજે કરીને તમામ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.