લખતરના કળમ ગામે કેનાલ છલકાઇ, પાણી ખેતરોમાં ફરી વળ્યા
- નર્મદાની માઇનોર ડી-૨ કેનાલ ઓવરફ્લો થઇ
- ખેતરમાં અજમા સહિતના પાકને નુકસાન થયું હોવાની ખેડૂતોની ફરિયાદ
સુરેન્દ્રનગર : લખતર તાલુકામાંથી પસાર થતી વલ્લભીપુર શાખા નહેરની માઇનોર કેનાલો તંત્રની બેદરકારીને કારણે અવાર-નવાર છલકાઈ જવી, લીકેજ થવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી લખતર તાલુકાના કળમ ગામની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર ડી-૨ કેનાલ ઓવરફ્લો થવાનો બનાવ સામે આવ્યો હતો.
જેમાં કળમ ગામના ખેડુત રમણીકભાઇ ગોવિંદભાઇ પટેલનું કળમ ગામની સીમમાં આવેલ ખેતરમાંથી નર્મદા નિગમની માયનોર ડી-૨ કેનાલ પસાર થઈ રહી છે. જે કેનાલ ઓવરફ્લો થઈને પાણી છલકાઈ જતા ખેતરમા વાવેલ અજમાના પાકમા કેનાલના પાણી ફરી વળતા પાકને નુકસાની થવાની ખેડૂત દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી.
જેના કારણે ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, તંત્ર દ્વારા કેનાલની યોગ્ય સાફસફાઈ નહીં કરવાના કારણે કેનાલો ઓવરફ્લો થતી રહે છે. જેનો ભોગ નિર્દોષ ખેડૂતો બનતા હોય છે. ત્યારે કળમ ગામની માઇનોર ડી-૨ કેનાલ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહયા છે.