સુરેન્દ્રનગરમાં મામલતદાર સહિતની ટીમને ડીમોલેશન અધુરૂ છોડી પાછા જવું પડયું
- તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ના કરતા સમસ્યા સર્જાઈ
- અન્ય જગ્યાએ વ્યવસ્થા કર્યા બાદ જ કબજો ખાલી કરવાનો હાઈકોર્ટનો હુકમ જોતા ટીમ ભોંઠી પડી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કોઝવે પાસે જમીન પર કરેલા પાકા બાંધકામને તોડવાની કામગીરી મામલતદાર સહિતની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી પરંતુ ઓરડીના માલિક દ્વારા ચાલુ ડીમોલેશન દરમિયાન કોર્ટનો સ્ટે રજૂ કરતા કામગીરી અધુરી રાખી મામલતદાર તેમજ પોલીસની ટીમને પરત ફરવાનો વારો આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કોઝવે પાસે આવેલી ભોગાવો નદીના કાંઠે આવેલી જમીન પર છેલ્લા ૩૦ વર્ષ કરતા પણ વધુ સમયથી મહેબુબભાઈ રહેમાનભાઈ ભટ્ટી કબ્જો ધરાવે છે અને આ જમીન પર ઓરડીઓ બનાવી તેમાં પરિવારજનો સાથે વસવાટ કરે છે. જે મામલે તેઓએ વર્ષ ૨૦૧૯માં ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.
જેના ભાગરૂપે હાઈકોર્ટ દ્વારા આ જગ્યા ખાલી કરાવતા પહેલા અન્ય જગ્યાએ જગ્યા આપવાનો હુકમ કર્યો હતો પરંતુ તેમ છતાંય સ્થાનિક તંત્ર દ્વારા અન્ય જગ્યાએ જગ્યા ફાળવવામાં આવી નહોતી. જે મામલે જગ્યા પરનું દબાણ દુર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના ભાગરૂપે મામલતદાર તેમજ જોરાવરનગર પોલીસ ટીમ દ્વારા જમીન પરનો કબ્જો હટાવી કરેલું બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે દરમિયાન અરજદાર મહેબુબભાઈએ મામલતદાર સાથે કબ્જો ખાલી નહિ કરવા મૌખિક વાતચીત કરી હતી પરંતુ મામલતદાર સહીત ટીમ દ્વારા કોઈ જ રજૂઆત સાંભળવામાં આવી નહોતી અને અરજદારે કરેલી પાંચ ઓરડીઓ પૈકી બે ઓરડીઓને જેસીબીવડે તોડી પાડવામાં આવી હતી.
જો કે અરજદારે કોર્ટનો હુકમ તેમજ સ્ટે રજૂ કરતા ચાલુ ડિમોલેશનની કામગીરી અટકાવી હતી અને મામલતદાર તેમજ પોલીસની ટીમને કામગીરી અધુરી રાખી પરત જવાનો વારો આવ્યો હતો. જે મામલે કબ્જો ધરાવનાર શખ્સે તંત્ર સામે આક્ષેપ કર્યા હતા અને કોર્ટનો હુકમ હોવા છતાં બે ઓરડીઓ તોડી પાડવા મામલે રોષ દાખવી આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.