mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધો. 1થી 5ના 87,000 વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થશે

Updated: Nov 21st, 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ધો. 1થી 5ના 87,000 વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ થશે 1 - image


- શિક્ષણ વિભાગની જાહેરાતને પગલે દિવાળી વેકેશન પૂર્ણ થતાં 

- જિલ્લાની ધોરણ ૧થી ૫ની ૧૦૭ અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કેમ્પસ બાળકોના કોલાહલથી ગૂંજી ઉઠશે : શાળાઓએ સરકારની એસઓપનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

સુરેન્દ્રનગર : ગુજરાતમાં કોરોનાનું સંકટ હળવું થઈ જતા રાજય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં ધો.૧ થી ૫નું વર્ગ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયને પગલે સુરેન્દ્રનગર-વઢવાણની ૧૦૭ શાળાઓમાં આજથી ધો.૧થી ૫નું વર્ગ શિક્ષણ શરૂ થશે. શાળા સંચાલકો દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાળકોમાં કોરોના રસીકરણ થયું ન હોવાથી બાળકોને શાળાએ મોકલવા કે કેમ તે અંગે વાલીઓમાં દ્વિઘા પ્રવર્તતી છે. 

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા ગુજરાતની તમામ શાળાઓમાં આજે તા.૨૨ નવેમ્બરથી ધો.૧થી ૫નું વર્ગ શિક્ષણ (ઓફલાઈન શિક્ષણ) શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં કોરોનાનું સંકટ હળવું થયું હોેવાથી આ નિર્ણય લેવાયો હોવાનું જણાવવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ માટે શાળામાં હાજરી આપવાનું મરજીયાત હશે. તેમજ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે વાલીઓએ લેખીત સંમતિ આપવી આવશ્યક હશે. જુની એસ.ઓ.પી. મુજબ શાળાઓમાં ધો.૧ થી ૫ ના વર્ગો શરૂ કરી શકાશે જેમાં સરકારી શાળાના આચાર્યો અને ખાનગી શાળાના સંચાલકોએ શાળામાં હેન્ડ સેનીટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરવાની રહેશે તેમજ વર્ગમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. 

રાજય સરકારના આ નિર્ણયને પગલે સુરેન્દ્રનગર-વઢવાણની ૧૦૭ શાળાઓમાં આજથી ધો ૧થી ૫ના વર્ગો શરૂ થશે. આ શાળાઓમાં અંદાજે ૭,૦૦૦ જેટલા જિદ્યાર્થીઓ ધો.૧થી ૫માં અભ્યાસ કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૮૭,૦૦૦ વિદ્યાર્થીઓ ધો ૧થી ૫માં અભ્યાસ કરશે. એવું પણ જાણવા મળે છે કે, મોટાભાગની શાળાઓમાં ધો. ૧થી ૫ના વિદ્યાર્થીઓ માટે શાળાનો સમય સવારનો રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી આનંદની લાગણી સાથે મુંઝવણ ફેલાઈ હોવાનું જાણવા મળે છે. 

કેટલાક વાલીઓના કહેવા મુજબ કોરોનાનું સંકટ હજુ સંપૂર્ણ દુર થયું નથી. બાળકોને કોરોનાની રસી આપવામાં આવી નથી અને શિયાળાની ઠંડી શરૂ થઇ છે. આ સંજોગોમાં બાળકોને શાળાએ મોકલવા કે કેમ  તે મોટી દ્વિઘા છે. જો કે વાલીઓ એવું પણ માને છે કે, બે વર્ષથી વર્ગ શિક્ષણથી દુર રહેલા ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓ માટે હવે શાળામાં અભયાસ કાર્ય શરૂ થાય તે આવશ્યક છે. શિક્ષણ પ્રેમીઓમાં પણ રાજ્ય સરકારના આ નિર્ણયને મિશ્રપ્રતિસાદ મળી રહયો છે. 

સ્કૂલ વાહનોમાં કોરોના  ગાઈડલાઈનનું પાલન કરાવવું પડશે

રાજય સરકારે ધો. ૧થી ૫ના વિદ્યાર્થીઓ માટે શાળામાં વર્ગ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરતા સ્કુલ વાહનો ફરી દોડતા થશે. સરકારે શાળાઓ માટે કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજીયાત બનાવેલ છે. તેમ સ્કુલ વાહનોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન ફરજીયાત કરાવવું જોઈએ. દરેક સ્કુલ વાહન માટે ખાસ કરીને સ્કુલ રીક્ષાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવાની સંખ્યા નકકી કરવી જોઈએ, તેમજ ઠાંસી ઠાંસીને વિદ્યાર્થીઓને બેસાડવામાં ન આવે તેવી તેકેદારી રખાવી જોઈએ. આ ઉપરાંત ગામડામાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનની જોખમી મુસાફરી કરવી ન પડે તે માટે ગામડેથી એસ.ટી. બસની પૂરતી સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શું કહે છે 

સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલાએ રાજય સરકાર દ્વારા શાળાઓમાં ધો.૧થી ૫નું વર્ગ શિક્ષણ શરૂ કરવાના નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે, બે વર્ષથી શાળાથી દુર રહેલા ધો. ૧થી ૫ના વિદ્યાર્થીઓમાં લખવા-વાંચવાની પ્રેકટીસ જતી રહી છે. તેથી આ નિર્ણય લેવો ખૂબ જરૂરી હતો. શાળાઓમાં ધો. ૬થી ૧૨ના વર્ગો ચાલુ હોવાથી તંત્ર ગોઠવાયેલું જ છે. વાલીઓ તરફથી પણ શાળામાં ધો.૧થી ૫ના વર્ગો શરૂ કરવા દબાણ થતું હતું. વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ ફરી આપવું પડશે. 

Gujarat