માંડલના હાંસલપુરમાં આઈસરની ટક્કરે બાઈક સવાર બે યુવાનના મોત

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
માંડલના હાંસલપુરમાં આઈસરની ટક્કરે બાઈક સવાર બે યુવાનના મોત 1 - image


- વિઠલાપુર- બેચરાજી હાઈવે ઉપર અકસ્માત

- ખાનગી કંપનીમાં વેલ્ડિંગનું કામ જોઈને ત્રણ યુવાનો પરત જઈ રહ્યા હતા : આઈસર ચાલક વિરૂદ્ધ ગુનો

માંડલ : માંડલ તાલુકાના વિઠલાપુર બેચરાજી હાઈવે ઉપર આઈસરની ટક્કરે બે બાઈક સવાર યુવાનોના મોત નિપજ્યા હતા. અન્ય એક બાઈક સવાર યુવાનને ઈજાઓ થતા તેને મહેસાણા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાંસલપુર પોલીસે અજાણ્યા આઈસર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી.

હાંસલપુર પોલીસ સ્ટેશનમાં ગીરીરાજ ઉર્ફે મોનુ મદનલાલ રાજપુતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ફરિયાદી અને તેના મિત્ર આઝાદમીયા અને રીઝવાન જે ત્રણેય સીતાપુર ગામ પાસે એક વેલ્ડીંગની દુકાનમાં કામ કરતાં હતાં. શનિવારે તેઓ ખાનગી કંપનીમાં વેલ્ડીંગનું કામ કરવાનું હોવાથી જે કામ જોવા અર્થે જઈ રહ્યાં હતાં. 

જે દરમ્યાન આઝાદ નામના યુવાને બાઈક ચલાવ્યું હતું અને મદનલાલ અને રીઝવાન તેઓ પાછળ સવાર હતાં. જોકે કામ જોઈને પરત ફરતાં ટી.પી.રોડ ઉપર આશરે સાંજના ૪.૧પ વાગ્યે સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આઈશર ચાલકે પોતાનું આઈશર હંકારીને આવી ત્રણ સવાર યુવાનની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં મદનલાલને જમણા પગે ઈજાઓ થઈ હતી. 

ત્યારે સ્થાનિકો દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરીને ઈજાગ્રસ્ત યુવાનને મહેસાણા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાકીના બે યુવાન રીઝવાન અને આઝાદમીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બંને યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યાં હતાં.


Google NewsGoogle News