ધ્રાંગધ્રામાં હુમલો અને ચેક રિટર્ન કેસમાં આરોપીઓને સજા ફટકારી
-હુમલો કરનારને ત્રણ વર્ષની કેદ અને દંડ : ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની કેદની સજા કરી
ધ્રાંગધ્રા તા.6 એપ્રિલ 2019,શનિવાર
ધ્રાંગધ્રાના એડીશનલ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.આર.ત્રિવેદીની કોર્ટમાં ચાલતાં અલગ-અલગ બે કેસોનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ કેસમાં ધ્રાંગધ્રાનાં શક્તિ માતાનાં મંદિર પાસે દુકાને ઉભેલાં શૈલેષભાઈ કાથરાણીને જોઈ રવિ પ્રમોદભાઈ ગાંધીએ ગાળો આપતાં શૈલેષભાઈએ ગાળો આપવાની ના પાડતાં રવિએ દુકાનમાંથી લોખંડના પાઈપ વડે શરીરે તથા માથે આડેધડ ધા મારી ઈજાઓ પહોંચાડી હતી.
ત્યારે વચ્ચે છોડાવવા પડેલ જીતુભાઈ કાથરાણીને પણ લોખંડનાં પાઈપ વડે ઠીકાપાટુનો માર માર્યો હતો. જે અંગેની ફરિયાદો બાદ ધ્રાંગધ્રા કોર્ટમાં કેસ ચાલી જતાં રવિ પ્રમોદભાઈ ગાંધીને ત્રણ વર્ષની સાદી કેદ અને રૃા. ૨,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તેમજ આરોપી દંડના ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદ અને રૃા.૫૦૦નો દંડ તેમજ દંડના ભરેતો પંદર દીવસની સાદી કેદ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો.
જયારે અન્ય એક કેસમાં મયુરનગર ખાતે રહેતાં દેવજીભાઈ રબારીએ ધ્રાંગધ્રાના મોહીતભાઈ સેવંતીલાલ શાહ વિરૃધ્ધ ચેક બાઉન્સનાં કિસ્સામાં નોંધાયેલ ફરિયાદ અંગેનો કેસ ચાલી જતાં આરોપી મોહિતભાઈ શાહને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ મુજબ રૃા. ૧,૦૦,૦૦૦ અને ફરિયાદીને વળતર તરીકે ૬ વર્ષ ૮ મહિના અને ૧૭ દિવસનું ૬% લેખે વ્યાજ રૃા. ૪૦,૨૮૦ મળી રૃા. ૧,૪૦,૨૮૦ એક મહિનામાં ચુકવવાનો હુકમ કર્યો હતો.
તેમજ વ્યાજની વળતરની રકમ ન ચુકવે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપવામાં આવ્યો હતો. આમ બંન્ને ચુકાદાથી સજા ફટકારવામાં આવતાં ગુન્હીત કૃત્યો કરતાં શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવાં પામ્યો હતો.