થાનમાં જૂની અદાવત રાખી બે શખ્સોએ તલવાર સાથે ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો
- ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
- યુવક બહાર નીકળે તો તલવાર મારી દેવાની અને મકાન ખાલી કરી નાખવાની ધમકી આપી
સુરેન્દ્રનગર : થાન શહેરમાં રહેતા પરિવારને અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી બે શખ્સો દ્વારા તલવાર સાથે તેના ઘરમાં ઘૂસી જઇ આતંક મચાવી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે ભોગ બનનાર પરિવારે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
થાન શહેરમાં અવારનવાર મારામારી અને ખંડણી સહીતના બનાવો બની રહ્યાં છે અને પોલીસનું જાણે કાંઇ અસ્તિત્વ ન હોય અને ગુનેગારોને પોલીસનો ડર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. થાન શહેરમાં રાજીવનગરમાં રહેતા સોનલબેન જીવાભાઇ માધડના પરિવારને અગાઉ સુનિલભાઇ છગનભાઇ માધડ અને મેહુલભાઇ ઉર્ફે પીન્ટુ ગોવાભાઇ મકવાણા નામના શખ્સ સાથે માથાકૂટ થઇ હતી. જે ઝઘડાનું મનદુઃખ રાખી સુનિલ અનેે મેહુલ બંને રાત્રીના સમયે હાથમાં તલવાર તેમજ પટ્ટો લઇ ધસી આવ્યા હતાં અને વિક્રમ ક્યાં છે તેમ કહી ઘરમાં આતંક મચાવ્યો હતો. તેમજ વિક્રમ બહાર નિકળે તો તેને તલવાર પરોવી દેવાની ધમકી આપી હતી અને મકાન ખાલી કરી નાંખવાની ધમકી આપી બંને શખ્સો ફરાર થઇ ગયાં હતાં. ત્યારે આ મામલે ભોગ બનનાર સોનલબેને બન્ને શખ્સો વિરૂધ્ધ થાન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધવતા થાન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.