ગુંદા ગામે બાઈક પર બેસાડવાની ના પાડતા બે શખ્સોએ માર માર્યો
- વઢવાણના ખોડુ ગામે ગામે પુત્રએ નજીવી બાબતે માતા-પિતાને મારમાર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં નજીવી બાબતે મારામારી અને અથડામણના બનાવો વધી રહ્યા છે. ત્યારે જીલ્લામાં અલગ અલગ મારામારીના બનાવો અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.
આ અંગે જોરાવરનગર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા ફરિયાદી વાસુદેવભાઇ સભાણી અને તેમના પત્નિ ઘરે હતા તે દરમિયાન બહારથી દીકરા મહેશભાઈએ આવી પિતા વાસુદેવભાઇને કપાસ અંગે પુરછપરછ કરતા કપાસ વેચી નાખ્યો હોવાનુ જણાવતા પિતા સાથે બોલાચાલી કરી ગાળો આપી ફળિયામાં લઈ જઈ લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ માતા ભગવતીબેન વચ્ચે છોડાવવા પડતા તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે મામલે ભોગ બનનાર પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. જ્યારે પુત્ર દ્વારા નજીવી બાબતે માતાપિતાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જ્યારે બીજા બનાવમાં ચોટીલા તાલુકાના ગુંદા ગામે રહેતા ફરિયાદી છગનભાઈ જાંબુકિયા પોતાનું બાઈક લઈને વાડીએથી દીકરા અને દીકરીને ગામમાં આવેલ પ્રાથમિક શાળાએથી લેવા જઈ રહ્યા હતા ત્યારે ગામમાં રસિકભાઈ સોલંકીના ઘર પાસે બંપ નજીક બાઇક ધીમું પાડતા રસિકભાઈ બાઈક પર લઈ જવાનું કહેતા ફરિયાદી છગનભાઈએ મોડું થતું હોવાથી સાથે લઈ જવાની ના પાડતા ઉશ્કેરાયલા રસિકભાઈ ગગજીભાઈ ઉર્ફે ગેલાભાઈ સોલંકી અને દિલીપભાઈ છગનભાઈ સોલંકીએ એકસંપ થઈ બાઈક પરથી નીચે પાડી દઈ છગનભાઈને ઢીકાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર એ નાની મોલડી પોલીસ મથકે બે શખ્શો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.