Get The App

દુનિયામાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની વસ્તી ગણતરી કરાઈ, હાલ રાજ્યમાં 7,672 'ખર' નોંધાયા

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
Ghudkhar Population


Ghudkhar Population Increases in Gujarat : ઘુડખર સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. આ દુર્લભ પ્રાણીના રક્ષણ અને સંવર્ધન માટે કચ્છના નાના રણ તથા આસપાસના પ્રદેશોમાં ઘુડખર અભયારણ્યની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારે 10મી વખત ઘુડખર વસ્તી ગણતરી યોજાઈ હતી. ભારતમાં એક માત્ર ગુજરાતમાં ઘુડખરની વસ્તી 7,672 નોંધાઈ છે. રાજ્યમાં સૌથી વધુ 2705 જેટલા ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા છે. વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં જોવા મળ્યા. આમ પાંચ વર્ષમાં અંદાજિત 26 ટકાનો વધારો થયો છે. તો ઘુડખરની સાથોસાથ નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ અને ભારતીય શિયાળ જેવા વન્ય જીવોની ગણતરી પણ યોજાઈ. ગણતરી દરમિયાન કુલ 15,510 ચો.કિ.મી. વિસ્તાર આવરી લેવાયો છે.

કચ્છના નાના-મોટા રણમાં જોવા મળે છે ઘુડખર

વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે. ભૂતકાળમાં ઘુડખર ઉત્તર-પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય-એશિયાના સૂકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા. જો કે, આ ઘુડખર હાલ ભારતમાં એક માત્ર ગુજરાતના કચ્છના નાના-મોટા રણના વિસ્તારમાં જ જોવા મળે છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે 7,642 ઘુડખરની વસ્તી નોંધાઈ છે, એટલે કે અંદાજે 26.14 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તા. 2થી 8 ઑકટોબર દરમિયાન 'વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ' ઉજવવામાં આવે છે ત્યારે, આ સમગ્ર રાજ્ય માટે પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.

આ પણ વાંચો : વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી : ગુજરાત સરકારે આ કામ માટે ફાળવ્યા 10 કરોડ રૂપિયા, રાજવી પરિવારે આપ્યો સિંહફાળો

છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં 6,082 ઘુડખર હતા

મંત્રી મૂળુભાઈએ જણાવ્યું હતું કે, દર પાંચ વર્ષે ઘુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 10મી વાર ઘુડખર વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં ઘુડખરની કુલ વસ્તી અંદાજે 7,672 નોંધાઈ છે. જ્યારે, છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં 6,082 ઘુડખર હતા. ગુજરાતના ઘુડખર વિશ્વમાં ‘Equus hemionus khur’ અને “ખુર” તરીકે પણ ઓળખાય છે.

સૌથી વધુ ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં કરે છે વસવાટ

ઘુડખર ગણતરીની વિગતો આપતા વન મંત્રીએ જણાવ્યું હતું કે, ઘુડખર મુખ્યત્વે રાજ્યના 6 જિલ્લાઓમાં જોવા મળે છે. 10મી ઘુડખર વસ્તી ગણતરી પ્રમાણે 2,705 ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે 1,993 ઘુડખર કચ્છ જિલ્લામાં, 1,615 પાટણમાં, 710 બનાસકાંઠામાં, 642 મોરબીમાં તેમજ 7 ઘુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3,234 ઘુડખર ધાંગધ્રામાં, 2,325 રાધનપુર અને 2,113 ભચાઉ રીઝિયનમાં વસવાટ કરે છે.

આ વન અને અભયારણ્ય વિસ્તારમાં 2,569 માદા ઘુડખર, 1,114 નર ઘુડખર, 584 બચ્ચાં અને 2,206 વણ ઓળખાયેલ જ્યારે, રેવન્યુ વિસ્તારમાં 558 માદા ઘુડખર, 190 નર ઘુડખર, 168 બચ્ચાં તેમજ 283 વણ ઓળખાયેલા ઘુડખર છે. આમ બે વિસ્તારના મળીને રાજ્યમાં કુલ 7,672 ઘુડખર નોંધાયા છે.

ઘુડખરની સાથે અન્ય વન્ય પ્રાણીઓની કરાઈ ગણતરી

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઘુડખર વસ્તી ગણતરી અંદાજે WAPE- 2024માં લગભગ 15,510 ચો. કિ.મી. વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ પદ્ધતિથી કરવામાં આવી હતી. વર્ષ 2024માં ઘુડખરની સાથે સાથે અન્ય વન્ય પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણ લોંકડી જેવા વન્ય જીવોનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ 2,734 નીલગાય, 915 જંગલી ભૂંડ, 222 ભારતીય સસલું, 214 ચિંકારા તેમજ 153 ભારતીય શિયાળ નોંધાયા છે.

આ પણ વાંચો : નવરાત્રીનો તહેવાર મંદિર નજીકના દુકાનદારો માટે સંજીવની બન્યો : અનેક નાના વેપારીઓને થઈ રહી છે આવક

ઘુડખર સાથે સંકળાયેલ અન્ય વન્યપ્રાણીઓની વિગત : (પ્રજાતિ/સંખ્યા)

  • નીલગાય : 2,734
  • જંગલી ભૂંડ : 915
  • ભારતીય સસલું : 222
  • ચિંકારા : 214
  • ભારતીય શિયાળ : 153
  • રણ લોંકડી : 70
  • ભારતીય લોંકડી : 49
  • કાળિયાર : 39
  • ભારતીય ઝરખ : 15
  • રણ બિલાડી : 11
  • જંગલી બિલાડી : 04
  • ભારતીય વરુ : 02

મંત્રી મુકેશ પટેલે ઉમેર્યુ હતું કે, WAPE- 2024ના આયોજનને પૂરી કરવા ગણતરીકારોને ઘુડખર તેમજ અન્ય વન્ય પ્રાણીઓની ઓળખ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ, ગણતરીકારોને પરંપરાગત પદ્ધિતિની સાથે જ, આધુનિક ટૅકનોલૉજી જેમ કે ડ્રોન કેમેરા, કેમેરાટ્રેપ, ઈ-ગુજ ફોરેસ્ટ મોડ્યુલ જેવા સંસાધનો પણ આપવામાં આવ્યા હતા.

ઘુડખર રણમાં 45થી 50 ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે પણ જીવી શકે છે

ભારતીય ઘુડખર(Equus hemionus khur)ની ખાસ વિશેષતાઓ એ છે કે, ગુજરાતના આ ઘુડખર રણમાં 45થી 50 ડિગ્રી જેટલા આકરા તાપમાન વચ્ચે પણ જીવી શકે છે. રણમાં આવેલા ટાપુ પર ઊગતું ઘાસ જ આ ઘુડખરનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત બદામી રંગના ઘુડખર ખૂબ જ ભરાવદાર હોય છે અને રણમાં 50થી 70 કિ.મીના પૂરપાટ વેગે દોડી શકે છે. સામાન્ય રીતે ટોળામાં વિચરતા ઘુડખરની પ્રકૃતિ શરમાળ હોવાથી માણસને જોતાં જ આ પ્રાણીઓ નાસવા લાગે છે. ગુજરાતના ગૌરવ એવા આ દુર્લભ પ્રાણીઓના સંરક્ષણની જવાબદારી સરકારની જ નહિ સાથે-સાથે સૌ નાગરિકોની પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર- 2008ના રિપોર્ટ મુજબ ઘુડખર બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતાં હોવાથી વન્યજીવ રક્ષણ અધિનિયમ 1972ના શિડ્યુલ- 1માં તેને આરક્ષિત કરવામાં આવ્યા છે. IUCNના થ્રેટંડ સ્પીસીસની યાદીમાં ઘુડખરને એન્ડેજર્ડ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. તેને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ઘુડખરને લુપ્ત થતાં બચાવવા અને તેમનું સંરક્ષણ કરવા અનેક કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે ઘુડખરની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘુડખર વસ્તી ગણતરી અંદાજ મુજબ વર્ષ 1976માં 720 ઘુડખર, વર્ષ 1983માં 1989, વર્ષ 1990માં 2072, વર્ષ 1999માં 2839, વર્ષ 2014માં 4451, વર્ષ 2020માં 6082 ઘુડખર નોંધાયા હતા. જે વર્ષ 2024માં વધીને 7672 જેટલા ઘુડખર નોંધાયા છે.


Google NewsGoogle News