ચાર શખ્સોએ આધેડને લોખંડના પાઈપથી માર માર્યો

Updated: May 14th, 2024


Google NewsGoogle News
ચાર શખ્સોએ આધેડને લોખંડના પાઈપથી માર માર્યો 1 - image


- નવરંગપુરા પાસેના વોટરપાર્કનો બનાવ 

- અપશબ્દો બોલવાની ના પાડતા શખ્સો ઉશ્કેરાયા હોવાની ફરિયાદ

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના નવરંગપુરા ગામ નજીક આવેલા વોટરપાર્કમાં અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ આધેડને લોખંડના પાઈપ માર્યા હતા. આધેડને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે પાટડી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

નવરંગપુરા ગામ નજીક આવેલા છમછમ વોટરપાર્કમાં એક શખ્સ મોટેથી અપશબ્દો બોલતો હતો. આથી વોટરપાર્કમાં બરફગોલાની લારી ધરાવતા આધેડ ભયલાલભાઇ પરસોત્તમભાઇ પટેલે તે યુવાનને અપશબ્દો ના બોલવાનું કહેતા યુવાન લોખંડની પાઇપ લઇ તેમના પર હુમલો કર્યો હતો.

તેમજ અન્ય ૩ શખ્સો પણ ધસી આવ્યા હતા અને આધેડને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ચારેય શખ્સોએ વોટરપાર્કના સ્ટાફ સાથે પણ માથાકુટ કરી હતી. જ્યારે ઇજાગ્રસ્તને વિરમગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. 

આ અંગે ભયલાલભાઇ પટેલે અશોક દશરથભાઇ ઠાકોર, રવિ પોપટલાલ ઠાકોર અને બે અજાણ્યા શખ્સો સામે પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News